મોરબીના શનાળા રોડ પર ચાની હોટેલ ચલાવતા અને ટંકારા તાલુકાના સજનપર ગામે રહેતા એક આધેડ પર જૂની અદાવતમાં પિતા-પુત્ર દ્વારા હુમલો કરવામાં આવ્યો હોવાની ફરિયાદ મોરબી સિટી એ-ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે.
ફરિયાદ મુજબ, સજનપર ગામના રહેવાસી લાખાભાઈ વજાભાઈ કલોતરા (ઉં.વ. 39) રાજપર ચોકડી પાસે ઉભા હતા ત્યારે આરોપી મેરુભાઈ જીવણભાઈ ખાંભલા અને તેમના પુત્ર અજય મેરુભાઈ ખાંભલા, બંને રહે. શનાળા પટેલ સમાજ વાડી પાસે, મોરબીવાળા, ત્યાં આવ્યા હતા.
આ દરમિયાન અગાઉની અદાવતના મામલે બંને આરોપીઓએ લાખાભાઈને ગાળો આપી તેમની સાથે ઝપાઝપી કરી ઢીકાપાટુનો માર માર્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. ત્યારબાદ લોખંડના પાઇપ વડે ફરિયાદીના પગ તથા વાસાના ભાગે માર મારી ઇજા પહોંચાડી હતી. હુમલા દરમિયાન આરોપીઓએ ફરિયાદીને જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાનો પણ ફરિયાદમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
આ અંગે ફરિયાદીના નિવેદનના આધારે મોરબી સિટી એ ડિવિઝન પોલીસે બંને પિતા-પુત્ર વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

