હળવદના નવા દેવળીયા ગામમાં ખેડૂતના ગોડાઉનમાંથી રૂ. 1.83 લાખથી વધુ કિંમતનો કૃષિ માલ ચોરી થયાની ઘટના સામે આવી છે. આ મામલે હળવદ પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
પ્રાપ્ત વિગતો મુજબ, નવા દેવળીયા ગામના ખેડૂત દિનેશભાઈ બચુભાઈ પટેલ (ઉંમર 52)એ હળવદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં જણાવ્યા અનુસાર, તેમની જેતપર રોડ પર આવેલી વાણંદવાળી વાડીના ગોડાઉનમાં રાખવામાં આવેલ જીરૂ અને બીટી કપાસના બિયારણની ચોરી કરવામાં આવી હતી. ફરિયાદી દ્વારા વાડીની દેખરેખ અને સંભાળ માટે રાખવામાં આવેલા મજૂરો નિલેષભાઈ ઉર્ફે મુકો ઉકારભાઈ બારીયા અને હસમુખભાઈ અભેસંગભાઈ બારીયા (બંને મૂળ દાહોદ જિલ્લાના ધાનપુર તાલુકાના ટોકરવા નીચવાસ ફળિયાના રહેવાસી) પર શંકા વ્યક્ત કરવામાં આવી છે.
ફરિયાદ મુજબ, રાત્રિના આશરે 12:15 વાગ્યાથી સવારે 7 વાગ્યા વચ્ચે કોઈપણ સમયે આરોપીઓએ ગોડાઉનમાંથી 17 બોરી જીરૂ, કુલ 49 મણ, કિંમત રૂ. 1,71,500 તેમજ બોલગાર્ડ બીટી કપાસના 450 ગ્રામના 13 પેકેટ, કિંમત રૂ. 11,700 સહિત કુલ રૂ. 1,83,200નો માલ કોઈ વાહનમાં ભરી ચોરી કરી લીધો હતો. આ બનાવ અંગે હળવદ પોલીસે ફરિયાદના આધારે ગુનો નોંધ્યો છે અને આરોપીઓની શોધખોળ સહિતની કાર્યવાહી હાથ ધરી છે.

