વાંકાનેરના આંબેડકર નગર વિસ્તારમાં રહેતા યશદીપ હિતેશભાઈ સોલંકીએ વાંકાનેર સીટી પોલીસ મથકે એજાજ ઉર્ફે દાદલી, એજાજનો ભાઈ ઈકબાલ તેમજ અન્ય ચાર શખ્સો સામે ફરિયાદ નોંધાવી છે.
ફરિયાદ અનુસાર, આરોપીઓનો અગાઉ ભરવાડ સમાજના કેટલાક લોકો સાથે વિવાદ થયો હતો. ઘટનાના દિવસે આરોપીઓ અને તેમના સાથીદારો પ્રાણઘાતક હથિયારો સાથે એક્સિસ બેન્ક નજીક ઉભા હતા. તે સમયે યશદીપ અને તેનો મિત્ર મનીષ એક્ટિવા પર ત્યાંથી પસાર થઈ રહ્યા હતા. મનીષ અગાઉ ઝઘડો થયેલા ભરવાડ સમાજના લોકોનો મિત્ર હોવાથી આરોપીઓએ બંનેનો પીછો શરૂ કર્યો હતો.
પીછો થતાં યશદીપ અને મનીષ એક્ટિવા લઈને ભાગવાનો પ્રયાસ કરી રહ્યા હતા ત્યારે શારદા સ્કૂલ નજીક તેમનું વાહન ઇલેક્ટ્રિક પોલ સાથે અથડાતા બંને નીચે પડી ગયા હતા. ત્યારબાદ આરોપીઓએ તેમની ઉપર હુમલો કર્યો હોવાનું ફરિયાદમાં જણાવાયું છે. આરોપી એજાજે જાનથી મારી નાખવાના ઇરાદે કુહાડી વડે હુમલો કરતાં યશદીપને ગરદનના પાછળના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી. ઉપરાંત અન્ય એક અજાણ્યા શખ્સે પીઠના ભાગે છરીનો ઘા મારી જીવલેણ હુમલો કર્યો હોવાનું પણ ફરિયાદમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. પોલીસે ફરિયાદના આધારે ગુનો નોંધી વધુ તપાસ તથા કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

