મોરબી મહાનગરપાલિકા વિસ્તારમાં હાલ સીટી સેન્ટર ખાતે જન્મ અને મરણના દાખલા આપવાની કામગીરી કરવામાં આવી રહી છે. જો કે, સમગ્ર શહેર અને નવી ભળેલી ગ્રામ પંચાયતોના વિસ્તારોનો સમાવેશ થયા બાદ પણ આખા મોરબી જિલ્લા અને શહેર માટે માત્ર એક જ સેન્ટર કાર્યરત હોવાથી પ્રજાને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. આ ગંભીર સમસ્યાને ધ્યાને લઈને સામાજિક કાર્યકર રાજુભાઈ દવે દ્વારા મોરબીના અન્ય વિસ્તારોમાં પણ નવા સેન્ટરો શરૂ કરવા માટે તંત્ર સમક્ષ ઉગ્ર માંગ કરવામાં આવી છે.
સામાજિક કાર્યકરના જણાવ્યા અનુસાર, એક જ સેન્ટર હોવાના કારણે વહેલી સવારથી જ કચેરી ખાતે લોકોની લાંબી લાઈનો જોવા મળે છે. રોજ અંદાજે ૨૦૦ થી ૩૦૦ લોકો પોતાના કામધંધા છોડીને કલાકો સુધી લાઈનમાં ઊભા રહેવા મજબૂર બને છે. પંચાયતો મહાનગરપાલિકામાં ભળ્યા બાદ વસ્તી અને વિસ્તાર બંને વધ્યા છે, જેના કારણે લોકોને દૂર-દૂરથી ધક્કા ખાવા પડે છે. અરજદારોના ભારે ઘસારાને લીધે ત્યાં ફરજ બજાવતા સ્ટાફ પર પણ કામનું ભારણ વધ્યું છે અને વ્યવસ્થા જાળવવામાં મુશ્કેલી પડી રહી છે.
“મોરબી હવે મહાનગરપાલિકા બની ગયું છે અને આસપાસના ગ્રામ્ય વિસ્તારો પણ આમાં જોડાઈ ચૂક્યા છે. આવા સમયે માત્ર સીટી સેન્ટર ખાતે જ એક સિંગલ વિન્ડો રાખવી તે પ્રજા સાથે અન્યાય છે. ચોમાસા અને ઉનાળાની ઋતુમાં વૃદ્ધો અને મહિલાઓને કલાકો સુધી તડકામાં કે લાઈનમાં હેરાન થવું પડે છે. અમારી માંગ છે કે વહીવટી તંત્ર તાત્કાલિક ધોરણે મોરબીના સામા કાંઠા વિસ્તાર અથવા અન્ય અગત્યના ઝોન વાઈઝ વિસ્તારોમાં જન્મ-મરણ દાખલાની અરજી સ્વીકારવા અને તૈયાર દાખલા આપવા માટેના નવા પેટા સેન્ટરો (Sub-Centres) શરૂ કરે જેથી લોકોનો સમય બચે અને હાલાકીનો અંત આવે.”– રાજુભાઈ દવે (સામાજિક કાર્યકર, મોરબી)
હવે જોવાનું એ રહ્યું કે મોરબી મહાનગરપાલિકા પ્રજા હિતના આ પ્રશ્નને કેટલી ગંભીરતાથી લે છે અને ક્યારે નવા સેન્ટરોની મંજૂરી આપીને મોરબીવાસીઓને આ લાંબી લાઈનોમાંથી મુક્તિ અપાવે છે.

