હળવદ તાલુકાના ઘનશ્યામગઢ ગામમાં રહેતા અને ખેતી તેમજ મંડપ સર્વિસનો વ્યવસાય કરતા કાંતિલાલ હરખાભાઈ સુરાણી (ઉંમર 54 વર્ષ)એ હળવદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. ફરિયાદ મુજબ નવા ઘનશ્યામગઢ ગામના રહેવાસી રતીલાલ ઘોઘજીભાઈ કોળીએ ફરિયાદીને ધમકી આપી હતી.
ફરિયાદમાં જણાવાયું છે કે, આરોપીએ પોતાના સગાને ફરિયાદી કાંતિલાલની મંડપ સર્વિસમાં મજૂરી કામ માટે ન રાખવા જણાવ્યું હતું. સાથે જ જો તેને કામ પર રાખવામાં આવશે તો જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આરોપીએ ફરિયાદી ઉપરાંત તેમના સાથી કર્મચારીઓને પણ ધમકાવ્યા હોવાનું સામે આવ્યું છે. આ મામલે પોલીસે ફરિયાદના આધારે આરોપી સામે ગુનો દાખલ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

