રાજ્યભરમાં છેલ્લા એક મહિનાથી પડી રહેલી કાળજાળ ગરમીને પગલે જન જીવનને ભારે અસર પડી છે જોકે આગામી બે ત્રણ દિવસ દરમિયાન તાપમાનમાં બે થી ત્રણ ડિગ્રીનો નોંધપાત્ર ઘટાડો થવાની શક્યતા છે. ભેજવાળા પવનો ફૂંકાતા હોવાથી લોકોને આકરી ગરમીનો સામનો કરવો નહીં પડે. તેવી આગાહી રાજ્ય હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.
છેલ્લા 24 કલાકમાં પણ તાપમાનમાં એકથી બે ડિગ્રીનો ઘટાડો નોંધાઈ ચૂક્યો છે. આગામી સાત દિવસ સુધી વાતાવરણ સૂકું અને સ્થિર રહેવાની સંભાવના છે. તેમ છતાં હાલમાં રાજ્યના સાતથી વધુ શહેરોમાં તાપમાન 40 ડિગ્રીથી ઉપર જોવા મળી રહ્યું છે. રાજ્યના મોટાભાગના શહેરોમાં તાપમાન સતત વધી રહ્યું હતું. અનેક જગ્યાએ પારો 42 થી 44 ડિગ્રી સુધી પહોંચી ગયો હતો. ખાસ કરીને અમદાવાદમાં તાપમાન 44 ડિગ્રીને પાર કરતાં લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા હતા અને બપોરના સમયે રસ્તાઓ વેરાન જોવા મળતા હતા. હવે વાતાવરણની પેટર્નમાં સકારાત્મક ફેરફાર આવતાં રાજ્યવાસીઓને રાહતની અપેક્ષા છે.
હવામાન વિભાગે જણાવ્યું છે કે આજથી રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં તાપમાનમાં બે થી ત્રણ ડિગ્રીનો ઘટાડો થશે. 44 ડિગ્રી સુધી પહોંચેલી ગરમીમાં આ ઘટાડો લોકો માટે રાહતનો વિષય બનશે. દક્ષિણ-પશ્ચિમથી પશ્ચિમ દિશામાંથી ભેજવાળા પવનો ફૂંકાઈ રહ્યા છે. આગામી સાત દિવસ સુધી કોઈ મોટા હવામાની એલર્ટની જરૂર નથી. વાતાવરણ મોટેભાગે સૂકું જ રહેશે. હવામાન વિભાગના ડાયરેક્ટર એ.કે. દાસે કહ્યું કે, “આગામી સાત દિવસ સુધી વાતાવરણ સૂકું રહેશે. તાપમાનમાં બે થી ત્રણ ડિગ્રીનો ઘટાડો નોંધાશે. ત્યારબાદ મોટો ફેરફાર જોવા મળશે નહીં.” પવનની ઝડપ 15 થી 20 કિલોમીટર પ્રતિ કલાક રહેવાની સંભાવના છે.
છેલ્લા 24 કલાકમાં સૌથી વધુ તાપમાન રાજકોટમાં 43.6 ડિગ્રી નોંધાયું હતું, જે સામાન્ય કરતાં બે ડિગ્રી વધારે છે. આગામી ત્રણ દિવસ સુધી અનેક વિસ્તારોમાં તાપમાન ૪૩ ડિગ્રી આસપાસ રહેવાનું અનુમાન છે. પશ્ચિમ દિશાના પવનોને કારણે તાપમાનમાં સતત સુધારો જોવા મળશે.

