સૌરાષ્ટ્ર-કચ્છમાં કોરોનાની બીજી લહેર ઘાતક નીવડી હતી. બીજી લહેરમાં રાજકોટમાં આવેલી સિવિલ હોસ્પિટલમાં દર્દીઓની રીતસરની લાંબી લાઈનો લાગી હતી. તો કેટલાક દર્દીઓને સારવાર નહીં મળતા સિવિલ હોસ્પિટલના પટાંગણમાં જ મોતને ભેટ્યાં હતાં. આ ભયાવહ સ્થિતિ બીજી લહેરમાં જોવા મળતા કોરોનાના નવા વેરિએન્ટ ઓમિક્રોન સામે લડવા સિવિલ હોસ્પિટલ સુસજ્જ બની ગઈ છે. સિવિલ હોસ્પિટલમાં 840 બેડ, 7 ઓક્સિજન પ્લાન્ટ, 400થી વધારે વેન્ટિલેટર સુસજ્જ કરી દેવામાં આવ્યાં છે.
અમારા ફેસબુક પેજને લાઈક કરવા માટે અહીં ક્લિક કરો
આ અંગે સિવિલ હોસ્પિટલના તબીબી અધીક્ષક ડો.આર.એસ.ત્રિવેદીએ જણાવ્યું હતું કે, કોરોનાના નવા વેરિએન્ટ ઓમિક્રોનની દહેશત સમગ્ર વિશ્વમાં ફેલાઈ છે. ત્યારે રાજકોટની સિવિલમાં 840 બેડ, 7 ઓક્સિજન પ્લાન્ટ અને 400 જેટલાં વેન્ટિલેટર સાથે સજ્જ કરાઈ છે. તેમજ તંત્ર દ્વારા સમરસ હોસ્ટેલને ફરીથી શરૂ કરવા માટે પણ તંત્ર દ્વારા તૈયારી કરાઈ છે.

નવા ઓક્સિજન પ્લાન્ટ સ્થાપવાના કારણે દરરોજ 8 ટન જેટલા ઓક્સિજનનું પ્લાન્ટ ઉત્પાદન કરવામાં આવશે. બીજી લહેરમાં કોરોનાના સૌથી વધારે કેસો સામે આવ્યાં હતાં.

ત્યારે હવે તેના કરતા બમણી સ્થિતિ આવે ત્યા સુધી તૈયારી તંત્ર દ્વારા કરાઈ છે. સિવિલ હોસ્પિટલમાં જ્યારે બેડ માટે કતારો લાગી હતી અને ઓક્સિજનની અછત હતી તે ઓમિક્રોનમાં જોવા મળે નહીં અને તમામ દર્દીઓને યોગ્ય સારવાર મળી રહે તે માટે સિવિલના તબીબો સહિતનો સ્ટાફ પણ સુસજ્જ કરી દેવાયો છે.

કલેક્ટર તંત્રના માર્ગદર્શન હેઠળ સિવિલ હોસ્પિટલની પાછળ આવેલા ચૌધરી હાઈસ્કૂલના મેદાનમાં ઈન્ડો-અમેરિકન સ્ટાઈલથી સાડાત્રણ કરોડના ખર્ચે પોર્ટેબલ હોસ્પિટલ ઊભી કરાઈ છે.

