મોરબી-રાજકોટ રીંગ રોડ પર અયોધ્યા ચોક નજીક આવેલી રાધા રેસીડેન્સી-02માં રહેતા અને ઓપેરા એનર્જી પ્રા.લી.માં એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર તરીકે ફરજ બજાવતા જયેશભાઈ મધુભાઈ સાંજવાએ વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં અજાણ્યા શખ્સો સામે ફરિયાદ નોંધાવી છે.
ફરિયાદ મુજબ, ઓપેરા કંપની દ્વારા કલીન મેક્ષ એન્વિરો એનર્જી સોલ્યુશન્સ લિમિટેડના પેટા કોન્ટ્રાક્ટ હેઠળ વાંકાનેર તાલુકામાં સોલાર તથા વિન્ડ એનર્જીથી વીજ ઉત્પાદન સંબંધિત કામગીરી ચાલી રહી છે. આ પ્રોજેક્ટ અંતર્ગત વધાસીયાથી સમથેરવા સુધી વીજ પરીવહન માટે લાઇન નાખવાની કામગીરી દરમિયાન અલગ-અલગ તારીખોએ સાઇટ પર મુકાયેલ કુલ અંદાજે 3680 મીટર એલ્યુમિનિયમ વાયર (લગભગ 3000 કિલોગ્રામ), કિંમત રૂ. 11.04 લાખ, અજાણ્યા ઇસમો ચોરી કરી લઈ ગયા હતા.
આ ઉપરાંત, સ્ટ્રિંગિંગ કરાયેલ 33 કિલોવોલ્ટ વિન્ડ ટ્રાન્સમિશન લાઇનનો અંદાજે 1770 મીટર કન્ડક્ટર, કિંમત રૂ. 5.31 લાખ, કોઇક દ્વારા કાપી નાખી નુકસાન પહોંચાડવામાં આવ્યું હતું અને તારના ટુકડા સ્થળ પર જ છોડી આરોપીઓ ફરાર થઈ ગયા હતા. પોલીસે ફરિયાદના આધારે ગુનો નોંધ્યો છે અને સમગ્ર મામલે આગળની તપાસ શરૂ કરી છે.

