મોરબીની નવયુગ ઇન્ટરનેશનલ પ્રિ સ્કૂલ દ્વારા આયોજિત વાર્ષિક કાર્યક્રમ “તરંગ 4.0” મહેમાનો, માતા-પિતા તથા વાલીઓની ઉપસ્થિતિમાં સંપન્ન થયો. આ કાર્યક્રમની મુખ્ય વિશેષતા એ રહી કે તેમાં માત્ર બાળકો જ નહીં, પરંતુ માતા-પિતાએ પણ સક્રિય રીતે ભાગ લીધો હતો.વાલીઓની ભાગીદારીથી સમગ્ર કાર્યક્રમમાં લાગણી અને પરિવારભાવનો સુંદર સમન્વય જોવા મળ્યો. બાળક અને વાલી એકસાથે મંચ પર દેખાતા ક્ષણો યાદગાર બની હતી. નાના બાળકો દ્વારા રજૂ કરાયેલા નૃત્ય, સંગીત અને અભિનય સાથે વાલીઓની હાજરી અને સહભાગિતાએ દર્શકો તરફથી ઉમળકાભરી તાલીઓ મેળવી હતી

આ પ્રસંગે શાળાના પ્રમુખ પી.ડી. કાંજીયાએ જણાવ્યું હતું કે, “જ્યારે માતા-પિતા શિક્ષણ પ્રક્રિયામાં સક્રિય ભાગીદાર બને છે, ત્યારે બાળકનો આત્મવિશ્વાસ અને વિકાસ અનેક ગણો વધે છે. ‘તરંગ 4.0’ એ બાળકો, વાલીઓ અને શિક્ષકો વચ્ચેના સુંદર સમન્વયને દર્શાવ્યો છે.” તેમણે સમગ્ર સ્ટાફની નિષ્ઠા અને ટીમવર્કની પ્રશંસા કરી.આ કાર્યક્રમમાં નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશનના પ્રમુખ પી. ડી. કાંજીયા, નવયુગ એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ રંજનબેન કાંજીયા, નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશનના મેનેજિંગ ટ્રસ્ટી બલદેવભાઈ સરસાવડિયા અને નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશનના અન્ય સદસ્યો ઉપસ્થિત રહ્યા હતા.

