રાષ્ટ્રીય પર્વના શુભ અવસરે વાઘગઢ ગામના યુવા ભામાશા યોગેશભાઈ કાનજીભાઈ છત્રોલાના સુપુત્ર ચિ. તનયના જન્મદિવસ નિમિત્તે એક અનોખી અને પ્રેરણાદાયક સેવા કાર્ય કરવામાં આવ્યું છે. દેશપ્રેમ અને આપણા મહાન ક્રાંતિકારીઓના જીવનમૂલ્યો બાળકોમાં માત્ર એક દિવસ પૂરતા નહીં પરંતુ સમગ્ર વર્ષ સુધી જીવંત રહે તેવા ઉદ્દેશ્ય સાથે વાઘગઢ પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓને વીર ભગતસિંહના ફોટા સાથેના સુંદર ટ્રેકસૂટ ભેટ આપવામાં આવ્યા હતા.
આ પ્રસંગે યોગેશભાઈએ વ્યક્ત કર્યું કે, મોટા ખર્ચા કરીને ઉજવણી કરવા કરતાં પોતાના ગામની પ્રાથમિક શાળામાં ભણતા, ખાસ કરીને શ્રમયોગી પરિવારોના બાળકોના શિક્ષણ વિકાસમાં યોગદાન આપવું એ જ તેમના માટે સાચી ઉજવણી છે. પોતાના ચિરંજીવીના જન્મદિવસે માત્ર પોતાના બાળક માટે નહીં પરંતુ ગામના તમામ બાળકોના ઉજ્જવળ ભવિષ્ય અને દેશની સાક્ષરતા વધે તે માટે નાનું પરંતુ મહત્વપૂર્ણ યોગદાન આપવાની ભાવનાથી આ સેવા કાર્ય કરવામાં આવ્યું છે.
ઉલ્લેખનીય છે કે, આ પહેલાં પણ યોગેશભાઈ છત્રોલા તેમજ તેમના માતૃ દયાબેન અને પિતા કાનજીભાઈ છત્રોલા દ્વારા વાઘગઢ પ્રાથમિક શાળાને લીલા લહેર અભિયાન અંતર્ગત વર્ગખંડોની ફલોરિંગ, ક્રાંતિવીર બગીચાનો ગેટ સહિત અનેક વિકાસ કાર્યો માટે લાખો રૂપિયાનું દાન આપવામાં આવ્યું છે. તેઓ સતત શાળાને રોકડ પુરસ્કાર તેમજ વિવિધ ઉપયોગી વસ્તુઓ રૂપે સહાય પૂરી પાડતા રહે છે, જે તેમની ઉંમર કરતા ઘણી મોટી દેશભક્તિ અને સેવાભાવનાનું ઉત્તમ ઉદાહરણ છે.
આજે વાઘગઢ પ્રાથમિક શાળા માત્ર એક શૈક્ષણિક સંસ્થા નહીં પરંતુ ઉત્તમ ભૌતિક સુવિધાઓથી સજ્જ અને ગુરુકુળ પદ્ધતિના સંસ્કારોથી સંચાલિત એક આદર્શ શાળાના રૂપમાં વિકસિત થઈ છે. ગામના દરેક નાગરિકના આર્થિક, માનસિક અને શારીરિક સહયોગથી શાળાએ નોંધપાત્ર પ્રગતિ હાંસલ કરી છે. આ પ્રસંગે કાનજીભાઈ રતનશીભાઈ છત્રોલા તેમજ સમગ્ર ગામ તરફથી શાળા પરિવાર દ્વારા આ સેવાભાવ માટે હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.

