HomeGujaratમોરબીમાં શ્રમ અને રોજગાર મંત્રી કાંતિભાઈ અમૃતિયાના અધ્યક્ષસ્થાને ભગવાન બિરસા મુંડાની 150...

મોરબીમાં શ્રમ અને રોજગાર મંત્રી કાંતિભાઈ અમૃતિયાના અધ્યક્ષસ્થાને ભગવાન બિરસા મુંડાની 150 મી જન્મ જયંતીનો જિલ્લા કક્ષાનો કાર્યક્રમ યોજાયો

ભગવાન બિરસા મુંડાની 150 જન્મ જયંતી અન્વયે મોરબી જિલ્લામાં શ્રમ, રોજગાર અને કૌશલ્યા વિકાસ રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયાના અધ્યક્ષસ્થાને તથા જિલ્લા કલેકટર સ્વપ્નિલ ખરે, જિલ્લા પોલીસ અધિક્ષક મુકેશ પટેલ, જિલ્લા વિકાસ અધિકારી શૈલેષચંદ્ર ભટ્ટની પ્રેરક ઉપસ્થિતિમાં પંચમુખી હનુમાનજી, વેજીટેબલ રોડ ખાતે જિલ્લા કક્ષાએ જનજાતિય ગૌરવ વર્ષ ઉત્સવની ઉજવણી કરવામાં આવી હતી.

આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ હંસાબેન પારેઘીએ જણાવી હતું કે, આ કાર્યક્રમનો ઉદ્દેશ આવનારી પેઢી સુધી ભગવાન બિરસા મુંડાના બલિદાન, સંઘર્ષ તેમજ તેમની વિચારધારાને પહોંચાડવાનો છે. ભગવાન બિરસા મુંડાએ અંગ્રેજો સામે લડત ચલાવી હતી, જમીનદારી વ્યવસ્થા અને મહેસૂલી શાસન સામે આઝાદીનું રણશિંગુ ફૂંક્યું હતું. આદિજાતિના લોકોને સંગઠિત કરવામાં અને આદિવાસી સંસ્કૃતિની જાળવણીમાં પણ તેમનો મહત્વનો ફાળો રહ્યો છે, ત્યારે સરકાર તેમની 150ની જન્મ જયંતીને જનજાતિય ગૌરવ વર્ષ ઉત્સવ તરીકે ઉજવી રહી છે. આદિજાતિના વિકાસ માટે કાર્યરત વિવિધ યોજનાઓની વાત કરતા તેમણે જણાવ્યું હતું કે, આદિજાતિના વિકાસ માટે સરકાર કટિબદ્ધ છે.

આ કાર્યક્રમમાં મંત્રી સહિતના મહાનુભાવોની પ્રેરક ઉપસ્થિતિમાં અંદાજે રૂ. 397.30 લાખના 27 કામોનું ખાતમુહૂર્ત અને અંદાજે રૂ. 689.76 લાખના 53 કામોનું લોકાર્પણ કરી અંદાજે રૂ. 1087 લાખથી વધુની રકમના 80 વિકાસ કામોની ભેટ મોરબીને અર્પણ કરવામાં આવી હતી. જેમાં તાલુકા પંચાયતો હસ્તકના અંદાજે રૂ.75 લાખથી વધુ રકમના 23 કામોનું ખાતમુહૂર્ત અને રૂ. 110 લાખથી વધુ રકમના 37 કામોનું લોકાર્પણ, આરોગ્ય વિભાગના અંદાજે રૂ. 579 લાખથી વધુ રકમના 16 કામોનું લોકાર્પણ તથા માર્ગ અને મકાન વિભાગ (પંચાયત) હસ્તકના અંદાજે રૂ. 322 લાખના 4 કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.

વક્તા મહેશ બોપલીયા દ્વારા ભગવાન બિરસા મુંડાના જીવન-કવન પર વક્તવ્ય આપવામાં આવ્યું હતું અને તેમના જીવન-કવન ઉપર આધારિત એક ફિલ્મનું પણ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં આદિજાતિ સમુદાયના રમતવીરો, ખેલાડીઓ અને સફળ વ્યક્તિઓ તેમજ ભગવાન બિરસા મુંડાની 150 મી જન્મ જયંતી નિમિત્તે આયોજિત વિવિધ સ્પર્ધાઓના વિજેતાઓનું સન્માન કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે જિલ્લા કલેકટર સ્વપ્નિલ ખરે, જિલ્લા પોલીસ અધિક્ષક મુકેશ પટેલ, જિલ્લા વિકાસ અધિકારી શૈલેષચંદ્ર ભટ્ટ, નિવાસી અધિક કલેક્ટર એસ.જે. ખાચર, જિલ્લા પંચાયત ઉપપ્રમુખ હિરાભાઈ ટમારીયા, મોરબી જિલ્લા પંચાયત આરોગ્ય સમિતિના ચેરમેન સરોજબેન ડાંગરોચા, મોરબી તાલુકા પંચાયતના પ્રમુખ અશોકભાઈ દેસાઈ, અગ્રણી જયંતીભાઈ ભાડેસીયા સહિત મહાનુભાવો, જિલ્લા વહીવટી તંત્રના અધિકારી/કર્મચારીઓ, આદિજાતિ સમુદાયના લોકો તેમજ જિલ્લાવાસીઓ ઉપસ્થિત રહ્યા હતા.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,550SubscribersSubscribe

TRENDING NOW