અમરેલી જિલ્લાના રાજુલાના ધારેશ્વર ગામની ધાતરવડી નદીમાં ગઇકાલે સાડા ચાર વાગ્યાના અરસામાં ત્રણ સગાભાઈ સહિત 4 યુવાનો ડૂબ્યા હતા. મોડીરાત સુધી શોધખોળ બાદ એકય યુવકનો પત્તો લાગ્યો નહોતો. જોકે, વહેલી સવારે ફરીથી શોધખોળ શરૂ કરાતા સાડા સાત વાગ્યાના અરસામાં એટલે કે 15 કલાકે એક યુવકનો મૃતદેહ મળ્યો છે. જ્યારે ત્રણ યુવકો હજી ગુમ છે, એમની શોધખોળ કરાઇ રહી છે.
આ દુર્ઘટનાની વિગતે વાત કરીએ તો ગઇકાલે સાડા ચાર વાગ્યાના અરસામાં રાજુલાના ધારેશ્વર ગામની ધાતરવડી નદીમાં ન્હાવા ગયેલા ત્રણ સગાભાઈ સહિત 4 યુવાનો ડૂબ્યા હતા. યુવકો ડૂબ્યા હોવાની જાણ થતાં જ ગ્રામજનો સ્થળ પર પહોંચ્યા હતા અને તુરંત જાણ કરતાં ફાયર ટીમ, પોલીસ કાફલો, મામલતદાર અને ધારાસભ્ય હીરા સોલંકી ઘટનાસ્થળે પહોંચ્યા હતા. મોડી રાત સુધી શોધખોળ કર્યા બાદ ચારમાંથી એકેય યુવકનો પત્તો લાગ્યો નહોતો. જ્યારે વહેલી સવારે ફરીથી શોધખોળ કરતાં મેરામ ખીમાભાઇ પરમાર નામના યુવકનો મૃતદેહ મળી આવ્યો છે. જયારે કાના ખીમાભાઇ પરમાર, ભરત ખીમાભાઇ પરમાર અને પીન્ટુ પાછાભાઈ વાઘેલા નામના આ ત્રણ યુવકો હજી ગુમ છે.
તાજેતરમાં અમરેલી જિલ્લામાં કમોસમી વરસાદ વરસ્યો હતો. ખાસ કરીને રાજુલા તાલુકામાં 6 ઇંચથી પણ વધુ વરસાદ વરસ્યો છે. જેથી મોટા ભાગની નદીઓ બે કાંઠે વહેતી થઈ છે. ત્યારે ધાતરવડી નદીમાં પણ પૂર આવ્યું છે. નદીમાં ધસમસતા પ્રવાહમાં આ ચારેય યુવકો ડૂબ્યા હતા. સ્થાનિકોના જણાવ્યા મુજબ યુવકોને તરતા આવડતું હતું, જોકે, પાણીમાં વમળ સર્જાયું છે એટલે કે પાણી ઘૂમરી મારી રહ્યું છે જેને કારણે તેઓ નદીમાં પ્રવાહમાંથી બહાર નીકળી શક્યા ન હતા અને ડૂબ્યા હતા.

