ગત સ્થાનિક સ્વરાજ્ય ચૂટણીમાં મોરબી પાલિકામાં 52 સીટ ભાજપને ફાળે જતાં મોરબી નગર પાલિકામાં સંપૂર્ણ બહુમતિ હતી. વિરોધ પક્ષ વિનાની પાલિકામાં જાણે પાલિકાના સત્તા ધિશોને મોકળુ મેદાન મળ્યું હોય તેમ મોરબી પાલિકા વિસ્તારમાં કરવામાં આવેલા કામોમાં મોટા પાયે ભ્રષ્ટાચાર થયા હોવાનાં આક્ષેપ થઈ રહ્યા છે.કોંગ્રેસ દાવા કરી રહ્યું છે કે આ ભ્રષટાચારને કારણે લોકો આજે પણ પારાવાર મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે. ત્યારે કલમ 45 (ડી) હેઠળ મોરબી નગરપાલિકા વિસ્તારની અંદર પાલિકાના પ્રમુખ સહિતના સભ્યો દ્વારા જુદા-જુદા વોર્ડમાં કરોડોના કામો કરાવવામાં આવ્યા છે. જો કે તે કામ ખરેખર કલમ 45 (ડી) હેઠળ કરાવી શકાય કે કેમ તે પણ એક તપાસનો વિષય છે. જેથી આ અંગે નિષ્પક્ષ અને તટસ્થ તપાસ થાય અને જો પ્રજાના પૈસા ખોટી રીતે વાપરવામાં આવ્યા હોય તો પ્રમુખ સહિતના તમામ દોષિતોની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે. સાથે જ તમામ લોકોની પાસેથી કલમ 45 (ડી) હેઠળ કરવામાં આવેલા કામોના ખર્ચની સો ટકા રિકવરી કરવામાં આવે તેવી માંગણી કરવામાં આવી છે.

