સખત પરિશ્રમનો કોઈ જ વિકલ્પ નથી હોતો અને શીખવા માટેની કોઈ ઉમર નથી હોતી, આ વાતને મોરબીના 64 વર્ષના સિનિયર સિટીઝન મહેશ્વરીબેન અંતાણીએ સાબિત કરી બતાવી. પોસ્ટ ઓફિસમાંથી સ્વૈચ્છિક નિવૃત્તિ લઈ સમયનો સદઉપયોગ કરવાં મહેશ્વરીબેન અંતાણી શાસ્ત્રીય નૃત્ય શીખવાની શરૂઆત કરી. પ્રથમ તેઓ ‘જયપુર ‘ ઘરાનામાં કથકમાં વિશારદ થયા. ડિસેમ્બર-2023માં ‘લખનૌ’ ઘરાનામાં પ્રતિષ્ઠિત શાસ્ત્રીય નૃત્ય તાલીમ સંસ્થા નટવરી નૃત્યમાલા ક્લાસિકલ ડાન્સ ક્લાસીસ- રાજકોટના કથક નૃત્ય કલાગુરૂ ડો. હર્ષાબેન ઠક્કરના માર્ગદર્શન હેઠળ તાલીમ મેળવી પ્રથમ વર્ગમાં કથક વિશારદ થયા હતા.
બાદમાં એપ્રિલ- 24માં અખિલ ભારતીય ગાંધર્વ મહાવિદ્યાલય મંડળ- મુંબઈ દ્વારા લેવાયેલી ભરતનાટ્યમ વિશારદ પૂર્ણની પરીક્ષા પ્રથમ વર્ગમાં પાસ કરી તેઓ ભરતનાટ્યમમાં પણ વિશારદ થયા છે. ભરતનાટ્યમની સઘન તાલીમ તેમણે પ્રતિષ્ઠિત ‘તાંડવ નર્તન ‘ ઇન્સ્ટિટ્યૂટ ઓફ કલાસિકલ ડાન્સ, રાજકોટના ગુજરાત ગૌરવ પુરસ્કાર સન્માનિત ભરતનાટ્યમ નૃત્ય કલાગુરૂ જીજ્ઞેશભાઈ સુરાણી અને ક્રિષ્નાબેન સુરાણીના માર્ગદર્શન હેઠળ લીધી હતી. આમ મહેશ્વરીબેનએ ભારતીય શાસ્ત્રીય નૃત્યશૈલીમાં ત્રણ વાર વિશારદની ડિગ્રી પ્રાપ્ત કરીને હેટ્રિક બનાવી છે, જે મોરબી માટે ગૌરવની વાત છે.

