વાંકાનેર તાલુકાના જામસર ગામે ક્યાંકથી આવેલ એક અજાણ્યો પરપ્રાંતીય પુરુષ ગમે તેના દરવાજા ખખડાવી ન સમજાય તેવી ભાષા બોલતો હોય, જેથી ગામના બે વ્યક્તિઓએ આ અજાણ્યા ઇસમને ગામ બહાર ખદેડવા છતાં પણ ન જતા લાકડી અને દોરડા વડે માર મારતા આ વ્યક્તિનું મૃત્યુ નિપજતા ગત તા.-24/06/2024 ના રોજ લખમણભાઈ રૂપાભાઇના મકાન નજીક ખેતરમાંથી તે અજાણ્યા પરપ્રાંતીય વ્યક્તિની લાશ મળતા ગામના સરપંચ દ્વારા પોલીસને જાણ કરતા પોલીસે તેના મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરતાં ચોંકાવનારી હકીકત સામે આવી હતી અને આ યુવાનનું મૃત્યુ માર મારવાથી થયાનું પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં ખુલતા ગામના જ બે વ્યક્તિઓ વિરુદ્ધ ગામના સરપંચે ફરિયાદ નોંધાવતા જણાવ્યું હતું કે,અજાણ્યો શખ્સ ગમે તેના દરવાજા ખખડાવી સ્ત્રીઓ સામે ન સમજાય તેવી ભાષા બોલતો હોય જેથી ગત તા.24ના રોજ મરણજનાર અજાણ્યો શખ્સ ગામમા ગમે તેના ઘરના દરવાજા ખખડાવતો હોય તેને સમજાવી જતો રહેવા કહેવા છતા પણ ન જતા ગામના પ્રભુભાઈ લાલજીભાઈ દંતેસરિયાએ આ વ્યક્તિને લાકડી વડે અને અશોકભાઈ નથુભાઈ દેલવાડિયાએ દોરડા વડે માર મારતા પરપ્રાંતીય શખ્સનું મૃત્યુ નીપજ્યું હતું. આ બનાવ અંગે હાલમાં વાંકાનેર તાલુકા પોલીસે બન્ને આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.