બામણબોર સામખયારી નેશનલ હાઈવે 27 પર વઘાસીયા ગામની હદમાં આવેલા ટોલનાકા પાસે વાઈટહાઉસ સીરામીકની હદમાંથી રોડ કાઢી ત્યાંથી વાહનને બાયપાસ કરી ગેરકાયદેસર ટોલ ઉઘરાવવામાં આવતો હતો. આવું જ એક રોડ વઘાસીયા ગામની હદમાંથી પણ કાઢવામાં આવ્યો હતો અને ત્યાંથી નીકળતા વાહન ચાલકો પાસેથી રૂપિયા ઉઘરાવવામાં આવતા હતા. આ ઘટનાના મીડિયામાં અહેવાલ પસાર થયા બાદ તંત્ર ઊંઘમાંથી જાગ્યું હતું અને તાત્કાલિક બંને ટોલનાકા બંધ કરાવી ટોલનાકુ ચલાવતા ગામના આગેવાનો તેમજ અન્ય લોકો સામે ફરિયાદ નોંધવામાં આવી હતી આ ફરિયાદનો ખાર રાખી ગઈકાલે ટોલનાકામાં ફરજ બજાવતા મેનેજર દેવેન્દ્રસિંહ જ્યુભા ઝાલા પર ગામના રવિરાજસિંહ વનરાજસિંહ ઝાલા તથા પીન્ટુ ઉર્ફે પ્રતીકસિંહ જનકસિંહ ઝાલાએ મારામારી કરી હતી અને બેફામ ગાળો બોલી મેનેજરને ફડાકા ઝીંકી દીધા હતા તેમજ છરી વડે હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો. આ ઉપરાંત એક શખ્સ દ્વારા રિવોલ્વરથી કે વાહન અકસ્માત કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.બનાવ અંગે ટોલ મેનેજરે બંને આરોપીઓ સામે વાંકાનેર તાલુકા ફરિયાદ નોંધાવી છે ફરિયાદ આધારે પોલીસે અલગ અલગ કલમો હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

