દુશ્મનની ગોળીઓ હસતા મોઢે છાતી પર ઝીલીને દેશના જાંબાઝ જવાનો શહીદી વ્હોરી લેતા હોય છે ત્યારે આ જવાનોના પરિવારને કોઈપણ પ્રકારની જરૂરિયાત માટે ભટકવું ન પડે તે જોવાની જવાબદારી દેશના નાગરિકોની છે. આ જવાબદારી મોરબીના ઓટોમોબાઈલ એસોસિએશને નિભાવી હતી અને શરદપુનમના પર્વ નિમિતે મોરબીમાં યોજાયેલ રાસોત્સવ દરમિયાન બે શહીદ પરિવારોને મોરબી બોલાવી તેમનું જાહેરમાં સન્માન કરવામાં આવ્યું હતું તેમજ બંને પરિવારને રૂ. 61-61 હજાર રોકડ આપી ઋણ ચૂકવવા પ્રયાસ કર્યો હતો. મોરબી ઓટો મોબાઈલ એસોસિએશન સાથે જોડાયેલ તમામ સમાજના વેપારીઓએ પોતાના તરફથી યથાશક્તિ મુજબ ફાળો એકત્ર કરી દેશના શહીદ જવાનના પરિવારના કામ અર્થે આપ્યો હતો તેમ એસોસિએશનના પ્રમુખ ત્રિભોવનભાઈ લિખિયાએ જણાવ્યું હતું.

