સૌરાષ્ટ્રમાં પ્રવર્તમાન જી.એસ.ટી.ના ઉંચા દર જ લોકો અને વેપારીઓને ઉંચા અને અસહ્ય જણાય છે તેમાં હવે છાશ,દહી,અનબ્રાન્ડેડ અનાજ, કઠોળ, ગોળ જેવી રોજિંદા વપરાશની જીવનજરૂરી ચીજવસ્તુઓ પર પાંચ ટકા જી.એસ.ટી.લદાતા અને સોમવારથી તેનો અમલ કરવા નોટિફિકેશન નાણામંત્રાલયે બહાર પડતા રોષની લાગણી પ્રસરી છે.
વેપાર ખોરવાયા: રાજકોટ,જામનગર, પોરબંદર, જુનાગઢ, ગીર સોમનાથ સહિત તમામ જિલ્લામાં તથા ગોંડલ,ખંભાળિયા, ઉપલેટા સહિત તાલુકા મથકોએ ઠેરઠેર ગ્રેઈન માર્કેટ, દાણાપીઠો, માર્કેટ યાર્ડો સજ્જડ બંધ રહ્યા હતા અને રાજકોટ સહિત કેટલાક યાર્ડમાં કરોડોના વેપાર ખોરવાયા હતા.

યાર્ડ બંધ: જામનગરમાં હાપા તથા જિલ્લાના અન્ય યાર્ડોમાં કૃષિ પેદાશોની હરાજીની પ્રક્રિયા બંધ રાખીને વેપારીઓએ વિરોધ વ્યક્ત કર્યો હતો. જામનગરની ગ્રેઈન માર્કેટના તમામ 320 થી વધુ વેપારીઓએ સજ્જડ બંધ પાળ્યો હતો. જિલ્લાના હાપા, કાલાવડ, ધ્રોલ, જોડિયા, લાલપુર માર્કેટ યાર્ડમાં હરાજી બંધ થઈ હતી અને ખેડૂતોને તેમની જણસી નહીં લાવવા જણાવાયું હતું. રિટેલ વેપારી મહામંડળ દ્વારા બંધને સમર્થન અપાયું હતું. ખંભાળિયામાં પણ છૂટક અને જથ્થાબંધ અનાજ-કરિયાણા વેપારીઓએ બંધ પાળ્યો હતો અને દ્વારકા જિલ્લાનો મુખ્ય યાર્ડ સહિત યાર્ડો બંધ થતાં આવકને અસર થઈ છે.
રાજકોટ યાર્ડ ચાલુ: રાજકોટની દાણાપીઠના અઢીસોથી વધુ વેપારીઓએ સજ્જડ બંધ પાળીને એસોસીએશને રોષભેર જણાવ્યું કે હવે કરબોજ સહન કરવાની હદ આવી ગઈ છે. જ્યાં જુઓ ત્યાં ટેક્સથી વેપાર ધંધા પડી ભાંગવાની ભીતિ સર્જાઈ છે. રાજકોટ બેડી માર્કેટ યાર્ડમાં અનેક વેપારીઓએ જીએસટીનો વિરોધ કરી હરાજીથી દૂર રહ્યા હતા પરંતુ, યાર્ડના ચેરમેન ભાજપના નેતા હોવાથી યાર્ડ ખુલ્લુ રાખ્યું હતું.

