ઔદ્યોગિક નગરી મોરબીમાં ફેકટરીઓ અને અન્ય વેપાર ધંધાઓ મોટા પ્રમાણમાં વિકસેલા હોવાથી રોકડ રકમની લેણદેણ વધુ પ્રમાણમાં થાય છે તો કેટલાક કિસ્સાઓમાં બેન્કમાંથી લોન લેવાની પ્રક્રિયા લાંબી હોવાથી વેપારીઓ બેન્ક પાસે જવાને બદલે શરાફી પાસેથી વ્યાજપેટે અમુક રકમ લેતા હોય છે જેની પાસેથી બિનઅધિકૃત શરાફી પેઢીઓ ચામડાતોડ વ્યાજ વસુલ કરતી હોય છે. ઘણા કિસ્સાઓ એવા પણ સામે આવ્યા છે કે ઉંચુ વ્યાજ ભરવા છતાં આ વ્યાજખોરો વધુ રકમની માંગણી કરે છે અને જો પૈસા લેનાર રકમ ન ચૂકવે તો ધાકધમકી આપવામાં આવતી હોય છે ત્યારે મોરબીમાં પણ આવો જ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે.
મોરબીના શનાળા રોડ પર ઉમિયા સર્કલ નજીક સનરાઈઝ એપાર્ટમેન્ટમાં રહેતા અતુલભાઈ ડાયાભાઈ પટેલે દસેક વ્યાજખોરો પાસેથી રૂ. 5,36,000 જેટલી રકમ ઉંચા વ્યાજે લીધી હતી. જેમાંથી તેમણે અધધ 14,19 000 જેટલી રકમ અતુલભાઈએ મૂડી સહીત ની રકમ ચૂકવી આપી હતી પરંતુ વ્યાજખોર જગાભાઈ ઉર્ફે જીગો, રમેશ બોરીચા, વરૂણ બોરીચા, રાહુલ, રવી ડાંગર, ડીડી રબારી, રાજેશ બોરીચા, સિધ્ધરાજ ગોહિલ, ભોલુ અને કાનો બી નામના 10 વ્યાજખોરોએ વ્યાજ અને મૂડી પરત મેળવી લીધા બાદ પણ વેપારી અતુલભાઈ પાસેથી વ્યાજના રકમની પઠાણી ઉઘરાણી કરીને જાનથી મારી નાખવાની ધમકી આપતા અતુલભાઈએ કંટાળીને ગુડ નાઈટનું લીકવીડ ગટગટાવીને આત્મવિલોપન કરવાનો પ્રયાસ કર્યો હતો જેથી આ બનાવ અંગે મોરબી સીટી એ ડિવિઝન પોલીસે અતુલભાઈની ફરિયાદનાં આધારે દસેય વ્યાજખોરો વિરુદ્ધ ગુન્હો નોંધીને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

