મોરબી જિલ્લામાં કાળચક્ર ફરી વળ્યું હોય તેમ દિન પ્રતિદિન આપઘાત અને અપમૃત્યુના બનાવોમાં સતત વધારો આવી રહ્યો છે ત્યારે મોરબી અને વાંકાનેર પંથકમાં ત્રણ વ્યક્તિઓના અપમૃત્યુના બનાવો પોલીસ ચોપડે નોંધાયા છે.
વાંકાનેર તાલુકાના હસનપર રેલવે સ્ટેશન નજીક અંદાજે 25 થી 30 વર્ષના અજાણ્યા યુવાનની લાશ પડી હોવાની જાણ થતાં વાંકાનેર સિટી પોલીસ મથકનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો અને મૃતદેહને પીએમ અર્થે હોસ્પિટલ ખસેડી આ યુવાનના વાલી વારસોની ભાળ મેળવવા પ્રયત્નો શરૂ કર્યા છે.
બીજા બનાવમાં વાંકાનેર તાલુકાના પાંચદ્વારકા ગામે રહેતા દિનેશભાઈ મનજીભાઈ વાઘેલા (ઉં.વ. 36) ને ગઈકાલે તા. 03 જુલાઈના રોજ સવારના દસેક વાગ્યાના અરસામાં એટેક આવતા તેનું મૃત્યુ નીપજ્યું હતું જેથી આ બનાવ અંગે વાંકાનેર તાલુકા પોલીસે નોંધ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
ત્રીજા બનાવમાં મોરબીની એપલ હોસ્પિટલ નજીક ગત તા. 02 જુલાઈના રોજ બપોરના સમયે અજાણી યુવતી (ઉં.વ.આશરે 32) એ કોઈ કારણોસર દવા પી લેતા તેને સિવિલ હોસ્પીટલમાં સારવારમાં ખસેડવામાં આવી હતી જ્યાંથી વધુ સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી જોકે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં જ આ યુવતીનું મોત નીપજ્યું હતું જેથી આ બનાવ અંગે મોરબી સીટી એ ડિવિઝન પોલીસે નોંધ કરીને યુવતીના વાલી વારસની શોધખોળ શરુ કરી છે. આ મૃતક યુવતી શરીરે મધ્યમ બાંધાની અને વાને ઘંઉવર્ણી છે. જમણા હાથના પોંચા ઉપર ઓમ ત્રોફાવેલ છે તથા કાંડા પાસે ત્રણ સ્ટાર ત્રોફાવેલ છે જેથી આ મૃતક યુવતી બાબતે કોઈ વાલીવારસની જાણ થાય તો મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં જાણ કરવા અપીલ કરવામાં આવી છે.


