વિશ્વની લોકપ્રિય ટી20 ક્રિકેટ ટુર્નામેન્ટની બે મહત્વની મેચો અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાવાની છે. નરેન્દ્ર મોદી સ્ટેડિયમ 1.3 લાખ પ્રેક્ષક ક્ષમતા ધરાવતું વિશ્વનું સૌથી મોટું ક્રિકેટ સ્ટેડિયમ છે પરંતુ જ્યારથી તેનું ઉદ્દઘાટન થયું છે ત્યારથી કોરોનાના કારણે તે સંપૂર્ણ ક્ષમતા સાથે ખુલ્લુ મૂકવામાં આવ્યું નથી. પરંતુ આઈપીએલની એલિમિનેટર અને ફાઈનલ માટે પ્રેક્ષકોની ક્ષમતા પર કોઈ પ્રતિબંધ ન હોવાથી બંને મેચમાં સ્ટેડિયમ ખીચોખીચ ભરેયાલું રહેશે.
બે દિવસ જલસો: રોયલ ચેલેન્જર્સ બેંગલોર અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે બીજી ક્વોલિફાયર મેચ રમાશે. આ મેચની વિજેતા ટીમ રવિવારે ફાઈનલમાં ગુજરાત ટાઈટન્સ વિરુદ્ધ રમશે. નરેન્દ્ર મોદી સ્ટેડિયમમમાં ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે પ્રથમ ટી20 સીરિઝ રમાઈ હતી પરંતુ ત્યારે પ્રેક્ષકોની સંખ્યા મર્યાદિત રાકવામાં આવી હતી. અમદાવાદ પોલીસ પણ હાલમાં એલર્ટ પર છે અને કોઈ પણ જાતના અનિચ્છનીય બનાવ વગર જ આ બંને મેચો પૂરી થાય તેની તકેદારી રાખી રહી છે. સિટી પોલીસે પહેલાથી જ સ્પષ્ટ કરી દીધું છે કે પ્રેક્ષકોએ Amdapark એપ દ્વારા પોતાનો પાર્કિંગ સ્લોટ બૂક કરાવવો પડશે. લોકો ખાનગી વાહનોનો ઓછો ઉપયોગ કરે તે માટે સ્પેશિયલ બસોની વ્યવસ્થા પણ કરવામાં આવી છે.

શું કહે છે પોલીસ: એડિશનલ પોલીસ કમિશનર આરવી અસારીએ જણાવ્યું હતું કે, છ ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસ, સાત આસિસ્ટન્ટ કમિશનર, 19 ઈન્સપેક્ટર્સ, 61 સબ-ઈન્સપેક્ટર, 1686 હેડ કોન્સેટબલ અને કોન્સેટબલ મળીને કુલ 1779 પોલીસ જવાનો સ્ટેડિયમની અંદર અને તેની આજુબાજુ હાજર રહેશે.
ટ્રાફિક મેનેજમેન્ટ: ટ્રાફિક પોલીસ પણ સજ્જ થઈ ગઈ છે. જોઈન્ટ કમિશનર ઓફ પોલીસ (ટ્રાફિક) મયંકસિંહ ચાવડાએ જણાવ્યું હતું કે, ટ્રાફિક પોલીસ સ્ટેડિયમની નજીક 14 ક્રેન તૈનાત કરશે અને સ્ટેડિયમ સુધી જતા રસ્તાઓ પર કોઈ પણ વ્યક્તિ વાહન પાર્ક ન કરે તેનું ધ્યાન રાખશે. તેમણે કહ્યું હતું કે, સ્ટેડિયમના બે કિમીના રસ્તાઓ પર પાર્ક કરવામાં આવેલા કોઈ પણ વાહનને ટો કરવામાં આવશે.

