ચૂંટણી પહેલા ધીમે ધીમે ભાજપની સ્થિતિ ડામાડોળ થવાના એંધાણ વર્તાય રહ્યા છે. ભાજપમાં જ એક આખો વર્ગ એવો છે જે ભાજપથી નારાજ છે. રિવરલિંક પ્રોજેક્ટ મુદ્દે આદિવાસી સમાજ નારાજ છે. તો કોળી સમાજમાં પણ અંદરખાને વિરોધના સૂર પડઘાય એવી શક્યતાઓ છે. હાર્દિક પટેલ કોંગ્રેસના મોટા નેતા છે અને નરેશ પટેલ કોંગ્રેસમાં જોડાય એવા વચ્ચે એંધાણ જોવા મળ્યા હતા. એવામાં હવે સૌરાષ્ટ્રમાં ઊંડી અસર અને મજબુત પકડ ધરાવતો કોળી સમાજ ક્યાંક ચૂંટણી પહેલાના માહોલને અસર કરી શકે છે.
કોળી સમાજના બે નેતા કુંવજી બાવળીયા અને પરસોતમ સોલંકી હવે કોંગ્રેસમાં જાય એવી પૂરી શક્યતાઓ છે. ભાજપમાં છેલ્લા કેટલાક સમયથી સાઈડ લાઈન થઈ ચૂકેલા મોટાનેતાઓની કઠોર કૃપા સહન કરી રહેલા પરસોત્તમ સોલંકી હવે કોંગ્રેસનો ખેસ પહેરે એવી શક્યતાઓ છે. થોડા સમય પહેલા બાવળીયા ભાજપમાં આવ્યા હતા. પણ ટૂંકાગાળાનું મંત્રીપદ ભોગવ્યા બાદ હવે એમની રાજકીય કરિયર સામે સવાલ ઊભા થઈ રહ્યા છે. હવે ભાજપમાંથી એમને ટિકિટ મળશે કે કેમ એ પણ એક મોટો પ્રશ્ન છે. જોકે, તેઓ આ પહેલા જસદણમાંથી ઊભા રહીને ચૂંટણી લડવાની ઈચ્છા વ્યક્ત કરી ચૂક્યા છે. આવી જ સ્થિતિ પરસોત્તમ સોલંકીની છે. હાલ એમને ટિકિટ મળે એવું લાગતું નથી.

જ્યારે હીરા સોલંકી પણ રાજુલામાંથી હારી ગયા છે. જેથી તેઓ પણ સાઈડલાઈન થઈ ગયા છે. આ મોટા કહેવાતા નેતાઓ કોંગ્રેસમાં જોડાય તો વિધાનસભાની ચૂંટણી અવશ્ય રસપ્રદ બની રહે. જ્યારે ભાજપ માટે કપરા ચઢાણ સાબિત થાય.હાલમાં મુખ્યમંત્રીની ટીમમાં બિનઅનુભવીઓની સંખ્યા વધારે છે. આ ઉપરાંત પ્રદેશ પ્રમુખ પાટીલની વયોવૃદ્ધને નિવૃત કરી જેવાની પોલીસી અંતર્ગત ભાજપના જ ઘણા નેતાઓ ક્લિનબોલ્ડ થાય એમ છે.
આ ઉપરાંત પાટીલ કોઈ પરિવાર વાદને પણ સમર્થન આપતા નથી. ભાજપમાં અંદર ખાને મુશ્કેલીઓ પેદા થાય એમ છે. આ સમસ્યાઓને ખાળવા માટે હાલ ભાજપ માટે જો આ બે નેતાઓ જાય તો સ્થિતિ અગ્નિ પરીક્ષા સમાન બની રહે એમ છે. બીજી બાજું આમ આદમી પાર્ટીએ પણ જુદા જુદા જિલ્લાઓમાં બેઠકનો ધમધમાટ ચાલું કરી દીધો છે. ખાસ કરીને પહેલા સૌરાષ્ટ્ર ક્ષેત્રને મજબુત કર્યા બાદ એમનો આગળ વધવાનો પ્લાન છે. સૌરાષ્ટ્રના જુદા જુદા જિલ્લાઓમાં નિયમિત રીતે બેઠક ચાલું થઈ ગઈ છે.

