સૌરાષ્ટ્રના પ્રવેશદ્વાર સમા સરેન્દ્રનગર જિલ્લામાંથી હત્યાની ઘટના સામે આવી છે. સુરેન્દ્રનગર જિલ્લના થાન પંથકમાં સોનગઢ ગામની સીમમાંથી પોરબંદરના કુછડી ગામના એક યુવાનનો મૃતદેહ મળી આવ્યો હતો. થાન પોલીસે તપાસ કરતા ગણતરીના દિવસોમાં હત્યાનો ભેદ ઉકેલાઈ ગયો હતો. આ કેસમાં પતિએ પોતાની પત્ની પર બીજા સંબંધોની આશંકા રાખી એક મિત્રએ બીજાનું ઢીમ ઢાળી દીધુ હતું.
સોનગઢ ગામેથી પથ્થરના ખોદકામ દરમિયાન અજાણ્યા એક યુવાનની લાશ મળી આવી હતી. આ મૃતદેહ પથ્થરની નીચે દાટી દેવાયો હતો. મૃતદેહનો અમુક ભાગ પશુ ખાઈ ગયા હતા. આવી સ્થિતિ જોઈને પોલીસ પણ થોડા સમય માટે ચોંકી ગઈ હતી. મૃતકની ઓળખ કરવાના પ્રયાસ કરતા એના હાથ પર A k લખ્યું હતું. મૃતક પોરબંદર જિલ્લાના કુછડી ગામનો વતની હતો. જેનું નામ અર્જુન કુછડિય હોવાનું જાણવા મળે છે. મૃતકના ભાઈએ થાન પોલીસ સ્ટેશનમાં હત્યા અંગેની ફરિયાદ નોંધાવી છે. અર્જુનની હત્યા એના જ મિત્ર ભાવેશે કરી છે. એવો આક્ષેપ કરતા પોલીસે તપાસનો ધમધમાટ ચાલું કર્યો હતો. પોલીસે ભાવેશને પકડી લઈ આકરી ઢબે પૂછપરછ કરતા ભાવેશ મેરે ગુનો કબૂલ કરી લીધો હતો. પોલીસને વિગત આપતા તેમણે કહ્યું કે, ભાવેશની પત્ની કિરણના અર્જુન સાથે લગ્ન થયા હતા. એક વર્ષ બાદ ભાવેશને કિરણ ગમી જતા કિરણ ભાવેશ સાથે રહેવા લાગી હતી. જેથી બંને પોરબંદરથી થાન રહેવા માટે આવી ગયા હતા. ભાવેશ પથ્થરનું ખોદકામ કરવાનું કામ કરતો હતો. જેની જાણ અર્જુનને થતા ભાવેશે પણ અર્જુનને હિટાચી મશીન લઈ કામ દેવા મદદ કરવા કહ્યું. અર્જુન એની માતાના પૈસાથી મશીન લઈ આવ્યો. એ દરમિયાન કિરણ ક્યાંક ચાલી જતા ભાવેશને આશંકા ગઈ.
પછી તે અર્જુનથી દૂર રહેવા લાગ્યો હતો. ભાવેશને આશંકા હતી કે, એની ગેરહાજરીમાં અર્જુન એના ઘરે આવે છે. અર્જુન અને કિરણ વચ્ચે ફરી પ્રેમ સંબંધ બંધાઈ રહ્યો છે. આવી આશંકાથી પાંચથી સાત દિવસ પહેલા તેમણે એક જગ્યાએ પથ્થરનું જ્યાં ખોદકામ ચાલું હતું ત્યાં લઈ જઈ અર્જુનને ટેકરા પરથી મશીન વડે ખાડામાં પાડી દીધો હતો. એ પછી લોખંડના ઘા મારીને એનું ઢીમ ઢાળી દીધુ હતું. મશીનથી મૃતદેહને પથ્થરની નીચે છુપાવી દીધો હતો. જાણે કંઈ બન્યું જ ન હોય એવી રીતે ફરી રહ્યો હતો. પોલીસે ભાવેશને પકડી લઈ કાયદેસરની કાર્યવાહી કરી છે. પણ આ કેસમાં ફરાર થયેલી કિરણનો હજુ સુધી કોઈ પત્તો મળ્યો નથી. હત્યા પાછળ કિરણ છે કે નહીં એ અંગે પોલીસ તપાસ કરી રહી છે. કિરણ પકાડયા બાદ આ કેસમાં બીજો વળાંક આવે એવા એંધાણ છે.

