પાંચ રાજ્યની વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસને ધોબી પછડાટ લાગી છે. એવામાં ગુજરાતમાં ચૂંટણી આવવાના એંધાણ દેખાઈ રહ્યા છે. વડાપ્રધાન મોદીની મુલાકાત બાદ ભાજપે ચૂંટણીની તૈયારીઓને વેગ આપ્યો હોવાના વાવડ છે. દિલ્હીમાં CWCની બેઠક બાદ કોંગ્રેસ ગુજરાતમાં પણ રાતોરાત એક્ટિવ થઈ ચૂકી છે. બીજી બાજું કોંગ્રેસમાં પડી રહેલા ફાટા તેમજ વર્ગીકરણને કારણે પક્ષને અંદરખાને મોટું નુકસાન થઈ રહ્યું છે. આવી કપરી સ્થિતિમાં કોંગ્રેસના વ્હાણને ડૂબવાથી બચાવવા માટે પ્રભારી રઘુ શર્મા અને સુખરામ રાઠવાએ બેઠક યોજી છે.
સર્કિટ હાઉસમાં યોજાયેલી બેઠકમાં સંગઠન અને ચૂંટણી અંગે ચર્ચા થઈ હોવાનું જાણવા મળે છે. આ સિવાય જે જે ધારાસભ્યો રાહુલ ગાંધીને પત્ર લખીને એમને મળવાનો સમય માંગયો છે તેના વિશે પણ ચર્ચા થઈ હોવાનું મનાય છે. કોંગ્રેસ પ્રભારી રઘુ શર્મા અને સુખરામ રાઠવા વચ્ચેની બેઠક બાદ નિવેદન એવું સામે આવ્યું છે કે, ભાજપ માત્ર પોસ્ટલ લગાવીને પ્રચાર કરે છે. એમ કરવાથી ગુજરાતની ચૂંટણી નહીં જીતાય. મોંઘવારી, કોરોના સમયે મૃત્યુ પામેલા લોકો આવા અનેક મુદ્દાઓનો ભાજપે જવાબ આપવાનો રહેશે. દ્વારકામાંથી જે વાયદા પ્રજાને આપ્યા છે એ પૂરા કરીશું. બીજી બાજુ હાર્દિક પટેલ સામે યુથ કોંગ્રેસની નારાજગીનો મુદ્દો ચર્ચામાં છે. આ મામલે રઘુ શર્માએ કહ્યું કે, કોંગ્રેસ શિસ્તને લઈને કોઈ બેદરકારી સહન નહીં કરે. પાંચ રાજ્યમાં કોંગ્રેસની કારમી હાર બાદ કોંગ્રેસ પક્ષના જી23 ગ્રૂપના ઘણા નેતાઓએ બેઠક યોજી છે. જેમાં હવે પછીની કોંગ્રેસની રણનીતિને લઈ વિચારણા કરવામાં આવી છે. બીજી તરફ ભાજપ ચાર રાજ્યમાં સરકાર બનાવવાના મુડમાં છે. હાલ ચર્ચા મુખ્યમંત્રી કોણ એ અંગે છે.

જોકે, ઉત્તર પ્રદેશમાં યોગી બીજી વખત મુખ્યમંત્રી પદે આવે એવી શક્યતાઓ પ્રબળ છે. જોવાનું મણિપુર અને ઉત્તરાખંડમાં પણ છે. જ્યારે ગોવામાં પણ પક્ષ એક લાંબી ચર્ચા વિચારણા બાદ નામ જાહેર કરે એવી સંભાવના હાલમાં વ્યક્ત થઈ રહી છે. જ્યારે પાર્ટી સાથે જોડાયેલા સુત્રોએ એવું કહ્યું કે, યોગીએ વડાપ્રધાન મોદી, રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ સાથે મુલાકાત કરી છે. આ પછી એ બેઠકમાં પણ ભાગ લેવાના છે એ પછી ઉત્તર પ્રદેશ આવીને બેઠક કર્યા બાદ નામ જાહેર થાય એવું હાલમાં દેખાઈ રહ્યું છે.

