હવે પોસ્ટ વિભાગ ઘર બેઠા જ પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવની પ્રસાદી પહોંચાડવાનું કામ કરશે. જે માટે શ્રદ્ધાળુઓ કોઈપણ પોસ્ટ ઓફિસમાં જઈને આ કામ કરવાનું રહેશે. સોમનાથ ટ્રસ્ટના નામે મનીઓર્ડર કરીને ત્રણથી ચાર દિવસમાં જ આ પ્રસાદ સીધો તમારા ઘરે પહોંચી જશે.

અત્યારસુધી સોમનાથ મહાદેવ મંદિર સહિતના દેશમાં આવેલા મોટા મોટા મંદિરોમાં ઓનલાઈન દર્શન કરવાની સુવિધા ઉપલબ્ધ હતી. તો કેટલાક મંદિરોમાં ભક્તો ઓનલાઈન પૂજા-અર્ચના પણ કરી શકતા હતાં. ત્યારે હવે સોમનાથ મંદિર ટ્રસ્ટ દ્વારા ભક્તજનોની સુવિધામાં વધારો કર્યો છે. જેમાં પોસ્ટ ઓફિસની મદદથી દેશની કોઈપણ પોસ્ટ ઓફિસમાં મની ઓર્ડર મારફતે સોમનાથ મહાદેવની પ્રસાદી ઘર બેઠા જ મેળવી શકશે. રૂપિયા 251ના મની ઓર્ડર થકી આ પ્રસાદી ભક્તોને પહોંચાડાશે.

આ માટે પોસ્ટ વિભાગ અને સોમનાથ મંદિર ટ્રસ્ટ દ્વારા એમઓયુ કરાયા છે. ગુજરાત સહિત દેશની કોઈપણ પોસ્ટ ઓફિસમાં મની ઓર્ડરનું ફોર્મ ભરી શકાશે. જે પોસ્ટ ઓફિસ દ્વારા ઓનલાઈન સબમિટ કરાશે અને તેની રસીદ પણ શ્રદ્ધાળુઓને આપવામાં આવશે. જે બાદ પ્રભાસ પાટણની ઓફિસ દ્વારા ભગવાન સોમનાથની પ્રસાદી મોકલાશે.

