રાજકોટમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીને રાણપુર પંથકના ત્રણ નરાધમોએ ચિક્કાર દારૂ પીવડાવી 18 દિવસ સુધી વાડીમાં ગોંધી રાખી સામૂહિક દુષ્કર્મ આચર્યું હોવાની ઘટના સામે આવતા ચકચાર મચી ગઈ છે. યુવતીની ફરિયાદ ઉપરથી પોલીસે ત્રણ શખ્સોની ધરપકડ કરી છે. તો તટસ્થ તપાસ માટે સીટની રચના કરાઈ છે.

રાજકોટમાં રહીને અભ્યાસ કરતી વિદ્યાર્થીની ભણવામાં ઘણી હોશિયાર હતી. ધો. 12 સાયન્સમાં સારા માર્ક મેળવ્યા બાદ મેડિકલ કોલેજમાં જવા માટે મીટની તૈયારી રાજકોટમાં રહીને કરી રહી હતી. આ સમયગાળા દરમયાન તેણીની ડ્રગ માફિયાઓના ચુંગલમાં ફસાઈ હતી અને તેણીને નશાની આદત પડી ગઈ હતી. આ દરમયાન યુવતીને થોડા દિવસ માટે ગામડે વતનમાં જવાનું થયું હતુ. જ્યાં નશો કરવા માટે કોઈ પદાર્થ નહીં મળતા નશો કરવા માટે દારૂના રવાડે ચડી ગઈ હતી.

જ્યાં ગામડામાં દારૂ મેળવવા માટે પ્રયાસો કરતા યુવતી બોટાદના રાણપુર તાલુકાના અળવ ગામે રહેતા ઈન્દ્રજીત ખાચર, જયવીર ખાચર, સત્યદીપ ખાચર નામના આરોપીઓના સંપર્કમાં આવી હતી. યુવતીને ઈન્દ્રજીત ખાચર નામના શખસે વાડીએ આવીને દારૂ લઈ જવાની વાત કરતા યુવતી આરોપીઓની વાડીએ પહોંચી હતી. જ્યાં આરોપીઓએ યુવતીને ચિક્કાર દારૂ પીવડાવી 18 દિવસ સુધી વાડીમાં ગોંધી રાખી હતી. એટલું જ નહીં યુવતી ઉપર સામૂહીક દુષ્કર્મ ગુજારવામાં આવતું હતું. બાદમાં યુવતીને મારકુટ કરીને અસહ્ય પીડા આપતા હતા.

ત્યારબાદ યુવતીએ આરોપીઓના ચુંગલમાંથી છુટવા માટે આજીજી કરી હતી. જો કે આરોપીઓએ ફરિયાદ કરી છે તો તેણીને અને તેણીના પરિવારને મારી નાંખવાની ધમકી આપી હતી તથા ઘરે નહીં પણ તારે બીજે ગમે ત્યાં જવુ હોય ત્યાં જ છોડીશું તેમ કહીને છોડી હતી. યુવતીએ જામનગરમાં રહેતા સગાસંબંધી પાસે જવાનું કહેતા આરોપીઓએ જસદણ આવી યુવતીને બસમાં બેસાડી જતા રહ્યાં હતાં. જામનગર સંબંધીને ત્યાં પહોંચેલી યુવતીએ સમગ્ર હકીકત વર્ણવી હતી. આ ઘટના અંગે પોલીસમાં ફરિયાદ કરતા પોલીસે ત્રણેય આરોપીઓની ધરપકડ કરીને રિમાન્ડ માગ સાથે કોર્ટમાં રજૂ કર્યાં હતાં. તેમજ આ સમગ્ર બનાવની તપાસ માટે ભાવનગર રેન્જ આઈજી અશોક યાદવે સીટની રચના કરી છે. જેમાં ડીવાયએસપીના સીધા માર્ગદર્શન હેઠળ પીઆઈ અને પીએસઆઈ સહિતનો સ્ટાફ બનાવની તપાસ કરશે.

