સમાજમાં ભલે શિક્ષણનું સ્તર વધ્યું હોય પણ કરિયાવરની માનસિકતા હજુ સુધી દૂર થઈ નથી. મહાનગરમાંથી કરિયાવરના મામલે મહિલાઓ પર થતા અત્યાચાર અને માનસિક ત્રાસના કિસ્સાઓ વધી રહ્યા છે. અમદાવાદ શહેરમાંથી આવો જ એક કિસ્સો સામે આવ્યો છે. જેમાં કરિયાવરના કેસમાં સ્ત્રીનું જીવન સાસરિયામાં કારાવાસ સમાન બની ગયું હતું. દરિયાપુર વિસ્તારમાં રહેતી એક મહિલાના પતિએ એવી ધમકી આપી હતી કે, જો તે કરિયાવર નહીં લાવે તો એને લંગડી કરી દેવામાં આવશે.

પતિના આવા ત્રાસથી કંટાળીને દરિયાપુર પોલીસ સ્ટેશનમાં મહિલાએ ફરિયાદ નોંધાવી છે. અમદાવાદના દરિયાપુર વિસ્તારમાં રહેતી મહિલાના લગ્ન વર્ષ 2017માં થયા હતા. લગ્ન બાદ થોડા સમય સુધી મહિલાને સાસરિયાવાળા સારી રીતે રાખતા હતા. પણ સમય જતા તું વાંઝણી છે એવું કહીને સાસરિયાવાળા ટોણાં મારતા હતા. આ ઉપરાંત સાસરિયાવાળાની ઉશ્કેરણીથી પતિ એની પત્નીને માર મારતો હતો. ઘર સંસારમાં તિરાડ ન પડે એ માટે યુવતી આ બધુ સહન કરતી હતી. પછી પતિએ પત્ની પાસે પીયરમાંથી દોઢ લાખ રૂપિયાની માંગ કરી હતી. યુવતીએ આ રકમની ના પાડતા પતિ માર મારતો હતો અને કહેતો કે લંગડી બનાવી દઈશ. પતિના આકરા વલણથી કંટાળેલી પત્ની એના પીયરમાં રહેવા માટે આવી ગઈ હતી. પછી વડીલોની સમજાવટ બાદ તે સાસરે જવા માટે તૈયાર થઈ ગઈ હતી. પણ સાસરિયાવાળાએ યુવતીને સ્વીકારવાની સ્પષ્ટ ના પાડી દીધી હતી. આ મામલે પછી માંડ સમાધાન થયું પછી થોડા સમય બાદ સાસરિયાએ ઝઘડો કરીને ફરી ઘરેથી કાઢી મૂકી હતી. તેથી કંટાળેલી પત્નીએ સાસરિયાવાળા સામે દરિયાપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. આ પહેલા પણ આવા કેસ અમદાવાદમાંથી સામે આવ્યા છે. જેમાં પોલીસે કાયદેસરની કાર્યવાહી કરી છે.
આ કેસમાં પણ પોલીસે એના સાસરિયાવાળાની પૂછપરછ શરૂ કરી દીધી છે. એના પીયરમાંથી પણ કેટલાક વ્યક્તિઓની પૂછપરછ કરવામાં આવી છે. મહિલાનું નિવેદન નોંધીને પોલીસે એના પતિ સામે કાયદેસરના પગલાં લીધા છે. અમદાવાદમાં વધી રહેલા ઘરકંકાસના કેસમાં મોટાભાગે મામલે પૈસાનો હોવાનું જાણવા મળ્યું છે. એ પછી હંગામી ધોરણે સમાધાન બાદ મામલો દબાવી દેવાય છે. પણ ફરી માનસિક ત્રાસ શરૂ થતા મહિલાઓએ પોલીસની મદદ લેવી પડે છે.

