ગાંધીનગર, મંગળવાર
ગુજરાતમાં કોરોનાના વધતાં કેસ અને કોરોનાના નવા વેરિએન્ટની એન્ટ્રી પછી ત્રીજી લહેરના ભણકારા વાગી રહ્યા છે. ત્યારે તબીબો આગામી 15 દિવસ ખૂબ જ મહત્ત્વના હોવાનું માની રહ્યા છે. તબીબોનું માનવું છે કે કોરોનાનો નવો ઓમીક્રોન વેરિએન્ટ માઈલ્ડ પ્રકારનો છે પરંતુ ખૂબ જ ઝડપથી એકબીજાને સંક્રમિત કરે છે અને લાંબો સમય સુધી શરીરમાં એક્ટિવ રહે છે. બાળકો સંક્રમિત થઇ રહ્યા છે ત્યારે ધો. 1થી 5ની સ્કૂલો ઓછામાં ઓછા 15 દિવસ સુધી બંધ રાખવા IMA દ્વારા સૂચન આપવામાં આવ્યું છે.
આગામી ફેબ્રુઆરીમાં ત્રીજી લહેરના ભણકારા વાગી રહ્યા છે. આગામી 15 દિવસ ખૂબ જ મહત્ત્વના હોવાનું તબીબો માની રહ્યા છે. IMA પ્રમુખ ડો. પ્રફુલ કમાણી જણાવ્યું છે કે, બાળકોમાં કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે તેની પાછળના કારણો જોવા જઇએ. ધોરણ 1 થી 5ના બાળકો માટે આપણી પાસે N95 માસ્ક અવેલેબલ નથી. આ બાળકોને નોલેજ નથી હોતું કે એક બીજા સાથે બેસી શેરિંગ કરી નાસ્તો ન કરવો જોઈએ, સ્કૂલ વેન કે બસમાં જાય તો સાથે બેસતા હોય છે માટે 15 દિવસ આ બાળકો માટે શાળા બંધ કરવી ખૂબ જ જરૂરી છે. વધુમાં તેમણે જણાવ્યુ હતુ કે જો કોરોનાને ગંભીરતાથી લેવામાં નહી આવે આગામી ફેબ્રુઆરી સુધી રાજ્યામાં કોરોનાની ત્રીજી લહેર આવવાની શક્યતા છે.

