ગાંધીનગર, સોમવાર
‘આઝાદીના અમૃત મહોત્સવ’ અંતર્ગત ગ્રાહક જાગૃતિ માટે 24 ડિસેમ્બરના રોજ ‘રાષ્ટ્રિય ગ્રાહક દિવસ’ની ઉજવણી નવસારી ખાતે કરાશે તેની જાણકારી અન્ન નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા મંત્રી નરેશભાઇ પટેલે આપી હતી. તે માટે રાજ્યના માન્ય ગ્રાહક મંડળો દ્વારા તા. 21મી થી 27 મી ડિસેમ્બર દરમિયાન ગ્રામ્ય તથા તાલુકા કક્ષાએ વિવિધ જનજાગૃતિ કાર્યક્રમો યોજાશે.
અન્ન નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા મંત્રી નરેશભાઇ પટેલ અને રાજ્યમંત્રી ગજેન્દ્રસિંહ પરમારે જણાવ્યુ છે કે, રાજ્યના નાગરિકોને ગુણવત્તાલક્ષી અને પ્રમાણસર ચીજવસ્તુઓ મળી રહે તેમજ ગ્રાહક છેતરાય નહી એ માટે રાજ્ય સરકાર કટિબદ્ધ છે એ માટે રાજ્ય સરકાર દ્વારા સધન કામગીરી કરવામાં આવી રહી છે. મંત્રી પટેલે કહ્યુ કે, રાજ્યના નાગરિકો કોઇપણ ચીજવસ્તુની ખરીદી સંદર્ભે વધુને વધે જાગૃત થાય એ માટે ‘આઝાદીના અમૃત મહોત્સવ’ અંતર્ગત આગામી તા.24 મી ડિસેમ્બરના રોજ રાષ્ટ્રિય ગ્રાહક દિવસની ઉજવણી નવસારી ખાતે સાંસદે સી.આર.પાટિલના અધ્યક્ષ સ્થાને કરાશે. આ પ્રસંગે ધારાસભ્યો સહિત અનેક મહાનુભાવો ઉપસ્થિત રહી પ્રેરક માર્ગદર્શન આપશે.
રાષ્ટ્રિય ગ્રાહક દિવસની ઉજવણી અંતર્ગત રાજ્યભરમાં વિવિધ જનજાગૃતિ કાર્યક્રમોનું આયોજન કરીને ગ્રાહકો વધુને વધુ જાગૃત થાય એ માટે સંનિષ્ઠ પ્રયાસો કરાશે. રાજ્યના ગ્રાહક મંડળો દ્વારા તા. 21મી ડિસેમ્બરથી તા. 27 મી ડિસેમ્બર દરમિયાન રાજ્યના માન્ય ગ્રાહક મંડળો દ્વારા ગ્રામ્ય તથા તાલુકા અને જિલ્લા કક્ષાએ વિવિધ જન જાગૃતિ કાર્યક્રમોનું આયોજન કરાયુ છે જેનો નાગરિકોએ મહત્તમ લાભ લેવા પણ તેમણે અનુરોધ કર્યો છે. તેમણે ઉમેર્યુ કે, રાજ્યનો સર્વાંગી વિકાસ થઇ રહ્યો છે તેની સામે ગ્રાહકોની ખરીદ શક્તિ પણ વધી રહી છે ત્યારે નાગરિકો છેતરાય નહિ એ પણ અમારી જવાબદારી છે તે માટે આ જનજાગૃતિ કાર્યક્રમોનું આયોજન કરાયુ છે. પ્રતિ વર્ષ તા. ૨૪મી ડિસેમ્બર રાષ્ટ્રિય ગ્રાહક દિન તરીકે ઉજવાય છે. જેનો મુખ્ય ઉદેશ ગ્રાહકો પોતાના અધિકારો માટે જાગૃત થાય,ગ્રાહકો ની સુરક્ષા વધે, અયોગ્ય વેપાર તથા ખામીયુક્ત વસ્તુઓ સામે ગ્રાહકોને રક્ષણ આપવાનો છે.
ગ્રાહકોમાં જાગૃતિ આવે એ માટે કાનૂમી માપવિજ્ઞાન અને ગ્રાહક સુરક્ષા દ્વારા સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. ત્યારે નાગરિકો ,પણ પોતાની વ્યાજબી ફરિયાદો સરકારને ધ્યાને લાવશે તો ચોક્કસ એ સંદર્ભે પણ કાર્યવાહી કરવામાં આવશે. ગ્રાહક સુરક્ષા કચેરી દ્વારા સપ્ટેમ્બર 21 થી નવેમ્બર દરમિયાન ઓફ લાઇન ફરિયાદો પૈકી 80 ટકા થી વધુ ફરિયાદોમાં નિર્ણય કરાયો છે. ઉપરાંત પી.જી. પોર્ટલ, રાજ્ય ગ્રાહક સુરક્ષા હેલ્પલાઇન, નેશનલ કમ્પ્યુટર હેલ્પલાઇનમાંથી મળેલ 96 ટકા ફરિયાદોમાં પણ ગ્રાહકોના હિતમાં નિર્ણય કરાયો છે તેમ તેમણે ઉમેર્યુ હતું.

