ગુજરાત રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા જાહેર થયેલી સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓની ચૂંટણીઓ અંતર્ગત મોરબી જિલ્લામાં તા. 26 એપ્રિલ 2026, રવિવારે મતદાન યોજાશે. આ લોકશાહી પર્વમાં દરેક શ્રમિક સરળતાથી પોતાનો મત આપી શકે તે માટે જિલ્લા વહીવટી તંત્રે ખાસ માર્ગદર્શિકા બહાર પાડી છે.
લોક પ્રતિનિધિત્વ અધિનિયમ-1951, કારખાના અધિનિયમ-1948 અને બિલ્ડિંગ એન્ડ અધર કન્સ્ટ્રક્શન વર્કર્સ એક્ટ-1996 મુજબ, તમામ નોંધાયેલ કારખાનાઓ, સંસ્થાઓ અને બાંધકામ સ્થળોએ કાર્યરત શ્રમિકોને મતદાન માટે ‘સવેતન રજા’ આપવી ફરજિયાત છે. આ રજાને કારણે શ્રમિકોના પગારમાં કોઈ કપાત કરવામાં આવશે નહીં. દૈનિક વેતનદારોને પણ તે દિવસનું પૂર્ણ વેતન ચૂકવવાનું રહેશે. જ્યાં સતત ઉત્પાદન પ્રક્રિયા ચાલતી હોય અથવા કર્મચારીની ગેરહાજરીથી મોટા નુકસાનની શક્યતા હોય, તેવા સંજોગોમાં શ્રમિકોને મતદાન માટે ફરજના સમયમાં ૩ થી ૪ કલાકની સવેતન છૂટછાટ આપવાની રહેશે.
આ પગલાનો હેતુ એ છે કે ઔદ્યોગિક ક્ષેત્રે કાર્યરત દરેક શ્રમિક લોકશાહી પ્રક્રિયામાં સક્રિય ભાગ લઈ શકે. મોરબી જિલ્લા ઔદ્યોગિક સલામતી અને સ્વાસ્થ્ય કચેરીએ તમામ ઉદ્યોગકારો અને સંચાલકોને આ નિયમોનું પાલન કરવા તેમજ શ્રમિકોને મતદાન માટે પ્રોત્સાહિત કરવા અપીલ કરી છે.

