ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની આગામી ચૂંટણીઓના માહોલ વચ્ચે મોરબી જિલ્લામાં ભાજપની ‘સેન્સ પ્રક્રિયા’ દરમિયાન એક અનોખી અને આશ્ચર્યજનક ઘટના સામે આવી છે. માળિયા મીયાણા નગરપાલિકાની 24 બેઠકો માટે ભાજપમાંથી એક પણ નેતા કે કાર્યકરે ટિકિટની દાવેદારી નોંધાવી નથી.
મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ‘કમલમ’ ખાતે ૨ એપ્રિલે બપોરે ૨:૩૦ થી ૪:૩૦ વાગ્યા સુધી માળિયા નગરપાલિકાની ચૂંટણી માટે સેન્સ પ્રક્રિયા યોજાઈ હતી. પ્રદેશ સ્તરેથી આવેલા નિરીક્ષકો રમણભાઈ વોરા, દેવાંગભાઈ દવે અને ગૌરવભાઈ રૂપરેલીયા ૬ વોર્ડની કુલ ૨૪ બેઠકો માટે દાવેદારોની રાહ જોઈ રહ્યા હતા.
પરંતુ આશ્ચર્યની વાત એ છે કે માળિયા શહેરી વિસ્તારમાંથી કોઈ પણ આગેવાન કે કાર્યકર ટિકિટ મેળવવા માટે આવ્યા જ નહોતા. આ અંગે મોરબી જિલ્લા ભાજપ પ્રમુખ જયંતીભાઈ રાજકોટિયાએ જણાવ્યું કે, “માળિયા (મી) તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની બેઠકો માટે કાર્યકરોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો છે અને ત્યાં પુષ્કળ દાવેદારી નોંધાઈ છે. પરંતુ નગરપાલિકાની ૨૪ બેઠકો માટે કોઈ દાવેદાર આવ્યો નથી. હાલ સંકલનની કાર્યવાહી ચાલી રહી છે.”
આ ઘટનાએ જિલ્લા ભાજપમાં ચર્ચાનો વિષય બનાવ્યો છે. પાર્ટીના વરિષ્ઠ નેતાઓ હાલમાં આ સ્થિતિનું વિશ્લેષણ કરી રહ્યા છે અને શહેરી વિસ્તારમાં પાર્ટીના સંગઠનને મજબૂત કરવા અંગે વ્યૂહરચના તૈયાર કરી રહ્યા છે.

