આજે તા. 24 માર્ચ 2026ના રોજ વિશ્વ ક્ષય દિવસ નિમિત્તે લક્ષ્મીનગર, મોરબી ખાતે આવેલ આર્યતેજ નર્સિંગ કોલેજ (આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ ઓફ નર્સિંગ)માં ટીબી જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમનું આયોજન પીએચસી ભરતનગર અને આયુષ્માન આરોગ્ય મંદિર, લક્ષ્મીનગર દ્વારા કરવામાં આવ્યું હતું. કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ વિદ્યાર્થીઓ તેમજ હાજર રહેલા તમામ લોકોને ક્ષયરોગ (ટીબી) અંગે જાગૃત કરવાનો હતો. તેમાં ટીબીના લક્ષણો, બચાવ માટેના પગલાં, સમયસર નિદાન અને પૂર્ણ સારવાર અંગે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. સાથે જ “ટીબી મુક્ત ભારત”ના સંકલ્પને સાકાર કરવા વિદ્યાર્થીઓને સમાજમાં જાગૃતિ ફેલાવવા પ્રેરણા આપવામાં આવી હતી.
કાર્યક્રમ દરમિયાન સમજાવવામાં આવ્યું કે ટીબી એક ચેપજન્ય રોગ છે, પરંતુ યોગ્ય અને સંપૂર્ણ સારવાર દ્વારા તેને સંપૂર્ણપણે નિયંત્રિત કરી શકાય છે. સામાન્ય લક્ષણોમાં લાંબા સમય સુધી રહેતી ઉધરસ, તાવ, વજનમાં ઘટાડો, ભૂખ ન લાગવી, રાત્રે વધારે પરસેવો આવવો અને નબળાઈ અનુભવવી જેવા લક્ષણોનો સમાવેશ થાય છે. આ કાર્યક્રમમાં આર્યતેજ નર્સિંગ કોલેજના વિદ્યાર્થીઓ અને સ્ટાફે ઉત્સાહભેર ભાગ લીધો હતો. પીએચસી ભરતનગર અને આયુષ્માન આરોગ્ય મંદિર, લક્ષ્મીનગરના માર્ગદર્શન અને સહકારથી કાર્યક્રમ સફળતાપૂર્વક પૂર્ણ થયો હતો.

