વાંકાનેર સિટી પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ટાફે ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામે કડક કાર્યવાહી હાથ ધરી હતી. આરોપીઓ વિરુદ્ધ પાસા હેઠળ દરખાસ્ત તૈયાર કરી નાયબ પોલીસ અધિક્ષક, વાંકાનેર વિભાગ તેમજ મોરબી પોલીસ અધિક્ષક મારફતે જિલ્લા મેજિસ્ટ્રેટ અને કલેક્ટરને મોકલવામાં આવી હતી. અધિકારીઓએ પ્રવૃત્તિની ગંભીરતા ધ્યાનમાં લઈ પ્રોહીબિશન હેઠળના બૂટલેગર તરીકે દિપાલ મુકેશભાઈ સંખેસરીયા (ઉંમર 22), રહે. વાંકાનેર, હરસિદ્ધિ હોટલની બાજુમાં, અને ઇન્દ્રજીત રાજુભાઈ ગોસ્વામી (ઉંમર 23), રહે. કેરાળા તા. વાંકાનેર, વિરુદ્ધ પાસા વોરંટ જારી કર્યા હતા.
પાસા વોરંટ જાહેર થયા બાદ સર્વેલન્સ સ્ટાફે પેટ્રોલિંગ દરમિયાન વોચ રાખી અને ખાનગી બાતમીના આધારે બંને આરોપીઓને ઝડપી પાડ્યા હતા. ત્યારબાદ પાસા વોરંટની કાર્યવાહી પૂર્ણ કરી તેમને ભાવનગર મધ્યસ્થ જેલ તથા જુનાગઢ મધ્યસ્થ જેલ ખાતે મોકલવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.

