HomeGujaratસમાજબંધારણનું સાચું સ્વરૂપ અને સંસ્કારની સજીવતા

સમાજબંધારણનું સાચું સ્વરૂપ અને સંસ્કારની સજીવતા

સમાજનું બંધારણ માત્ર કાયદા અને નિયમોની રચના નથી, પરંતુ મૂલ્યો પર આધારિત એવી વ્યવસ્થા છે જે સમાજને સંવેદનશીલ અને સુવ્યવસ્થિત રીતે આગળ વધારે છે. સમાજને દિશા આપતા મૂળ તત્ત્વો-સમાનતા, સહયોગ, સંસ્કાર, ફરજની ભાવના અને પરસ્પર સહાય-તેના આધારસ્તંભો છે. જ્યારે આ તત્ત્વો જીવનમાં ઉતરે છે, ત્યારે સમાજ સજીવ અને સશક્ત બને છે; નહિતર તે માત્ર સ્વાર્થની ભીડ બનીને રહી જાય છે.

સમાનતા સમાજની મજબૂત પાયાની ઈંટ છે. કોઈ વ્યક્તિ ધન, પદ કે પ્રતિષ્ઠા આધારે ઊંચી-નીચી ગણાય નહીં, એ જ સાચી સમાનતા છે. સમાનતાથી જ સહયોગ જન્મે છે. “હું”ને પાછળ મૂકી “અમે”નો વિચાર અપનાવવો એટલે સહકારનો માર્ગ. દરેક વ્યક્તિ પોતાની શક્તિ મુજબ યોગદાન આપે અને જરૂર સમયે એકબીજાની બાજુમાં ઉભી રહે, ત્યારે વિશ્વાસ અને એકતા ટકીને રહે છે.

સંસ્કાર સમાજના બંધારણની આત્મા સમાન છે. સંસ્કાર દેખાવમાં નહીં, પરંતુ શિસ્ત, સંવેદના અને સદભાવમાં વસે છે. આજકાલ પ્રસંગોને ખર્ચ અને સ્પર્ધાની દિશામાં વાળવાની વૃત્તિ વધી રહી છે, જેના કારણે મૂલ્યો કમજોર બનતા જાય છે. પરંતુ જ્યારે આનંદના અવસરોને સમાજહિત સાથે જોડવામાં આવે છે, ત્યારે સંસ્કાર જીવંત રહે છે. અધિકારો સાથે કર્તવ્યની સમજ હોવી પણ એટલી જ જરૂરી છે. સાચું સમાજબંધારણ ત્યારે જ બને, જ્યારે દરેક વ્યક્તિ પોતાની જવાબદારી સ્વીકારે.

આ મૂલ્યોને કાર્યરૂપ આપતી “ઉમા આદર્શ લગ્ન” જેવી પહેલ સમાજ માટે પ્રેરક બની છે. આ યોજના દર્શાવે છે કે સુખ-સમૃદ્ધિ ધરાવતા લોકો પોતાના પ્રસંગોમાં સંયમ રાખીને સમાજ માટે યોગદાન આપી શકે છે. તેના પરિણામે મધ્યમવર્ગીય અને જરૂરિયાતમંદ પરિવારોને આર્થિક બોજ વગર અને ગૌરવ સાથે નવા જીવનની શરૂઆત કરવાની તક મળે છે.

આ વિચારને સાકાર કરનાર શ્રી દિનેશભાઈ ભીમજીભાઈ લોરિયાનું કાર્ય સમાજ માટે દિશાદર્શક છે. પોતાની દીકરી દેવાંશીના લગ્ન પ્રસંગે તેઓએ આનંદ સાથે સમાજપ્રત્યેની ફરજ પણ નિભાવી છે. “ઉમા આદર્શ લગ્ન” યોજનામાં પાંચ દીકરીઓના લગ્ન માટે દાતા બનીને તેમણે માત્ર આર્થિક સહાય જ નહીં, પરંતુ સંસ્કાર અને સમાજધર્મનું ઉત્તમ ઉદાહરણ આપ્યું છે. પોતાની ખુશીને સમાજની ખુશી સાથે જોડવાનો આ ભાવ સાચા અર્થમાં માનવતાની ઉજવણી છે.

આવો ઉદાર અભિગમ સમાજના બંધારણને વધુ મજબૂત બનાવે છે. અહીં સહાયમાં દયા નહીં, સન્માન છે; અને દાનમાં અહંકાર નહીં, જવાબદારીની લાગણી છે. અંતે, સમાજનું સાચું બંધારણ એ છે કે જે માણસને માત્ર જીવવા નહીં, પરંતુ ઉત્તમ માનવી બનવા પ્રેરણા આપે છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,310SubscribersSubscribe

TRENDING NOW