મોરબી મહાનગરપાલિકા દ્વારા મહાશિવરાત્રીના પવિત્ર પર્વ નિમિત્તે શહેરમાં કતલખાના અને માંસ-મટનનું વેચાણ બંધ રાખવા માટે કડક જાહેરનામું બહાર પાડવામાં આવ્યું હતું. જોકે આ આદેશને ઘોળીને પી જનારા તત્વો સામે હવે કાયદાકીય સકંજો કસાયો છે. હિન્દુ સંગઠનોની જાગૃતતા અને રજૂઆતને પગલે પાલિકાએ મટન વેચનારા સંચાલકો વિરુદ્ધ પોલીસ ફરિયાદ દાખલ કરી છે.
મહાશિવરાત્રીના દિવસે શ્રદ્ધાળુઓની આસ્થાને ધ્યાને રાખીને મોરબી મહાનગરપાલિકાએ તમામ કતલખાના અને માંસ વેચતી દુકાનો બંધ રાખવાનું જાહેરનામું પ્રસિદ્ધ કર્યું હતું. આ આદેશનો હેતુ તહેવારની પવિત્રતા જાળવવાનો હતો. પરંતુ, મોરબીના કેટલાક વિસ્તારોમાં આ નિયમનું ઉલ્લંઘન થતું જોવા મળ્યું હતુંશહેરમાં પ્રતિબંધ હોવા છતાં માંસ-મટનનું વેચાણ ચાલુ હોવાની માહિતી મળતા જ સ્થાનિક હિન્દુ સંગઠનો હરકતમાં આવ્યા હતા. સંગઠનના હોદ્દેદારોએ આ બાબતે પુરાવા સાથે મહાનગરપાલિકામાં ઉગ્ર રજૂઆત કરી હતી અને દોષિતો સામે કડક પગલાં ભરવાની માંગ કરી હતી.
રજૂઆતની ગંભીરતા સમજીને મોરબી મહાનગરપાલિકાના અધિકારીઓએ તપાસ હાથ ધરી હતી. તપાસમાં બહાર આવ્યું કે જાહેરનામાનો ભંગ કરીને વેચાણ કરવામાં આવી રહ્યું હતું. આ મામલે ‘ન્યૂ યાદગાર કેટરર્સ’ ના સંચાલકો વિરુદ્ધ જાહેરનામાના ભંગ બદલ વિધિવત રીતે FIR દાખલ કરવામાં આવી છે.

