મોરબી શહેરમાં જાણે ઠગબાજો લોકોને છેતરવાના અવનવા કિમિયા શોધી કાઢવામા હોશિયાર બની ગયા હોય એમ અલગ-અલગ પ્રકારની સ્કીમ થી લોકોને પોતાનો શિકાર બનાવે છે, ત્યારે વધુ એક ઠગાઈનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. જેમાં છૂટા પૈસાના બંડલો આપવાની લાલચ આપી એક વેપારી પાસેથી લાખો રૂપિયા પડાવી લેવામાં આવ્યા છે. મોરબી એ-ડિવિઝન પોલીસ મથકે આ અંગે વિધિવત ફરિયાદ નોંધાઈ છે.
મોરબીના રવાપર ધૂનડા રોડ પર આવેલી જ્યોતિ પાર્ક સોસાયટીમાં રહેતા ચેતનભાઈ રતિલાલભાઈ દેત્રોજાએ આ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. તેમના આક્ષેપ મુજબ, આરોપી પંકજભાઈ કેશવજીભાઈ ફેફરે પોતાની ઓળખ છુપાવી, ખોટું નામ ધારણ કરીને વેપારીનો સંપર્ક કર્યો હતો. આરોપીએ ચેતનભાઈ અને તેમના સાથીઓને ₹10 અને ₹20 ના દરની ચલણી નોટોના બંડલો આપવાની લાલચ આપી હતી. વિશ્વાસમાં લઈ આરોપીએ ફરીયાદી પાસે આર.આર. આંગણિયા પેઢી મારફતે કુલ ₹2,50,000 નું આંગણિયું કરાવ્યું હતું. આંગણિયું કરાવી લીધા બાદ આરોપીએ વાયદા મુજબ છૂટા પૈસા ન આપીને છેતરપિંડી આચરી હતી.

