લગ્ન જીવનનો પવિત્ર અને આનંદમય પ્રસંગ છે, પરંતુ સમય જતાં તેમાં દેખાડો, અતિશય ખર્ચ અને સામાજિક દબાણ એટલું વધી ગયું છે કે સામાન્ય તથા મધ્યમવર્ગ માટે દીકરા-દીકરીના લગ્ન અનેક વખત આર્થિક બોજ બની જાય છે. આવી સ્થિતિમાં પાટીદાર સમાજ દ્વારા શરૂ કરાયેલી ઉમા આદર્શ લગ્ન યોજના સમાજ માટે આશાની કિરણ બનીને સામે આવી છે.
આ યોજનાનો મૂળ હેતુ સ્પષ્ટ છે-લગ્નમાં થતો બિનજરૂરી ખર્ચ ઘટાડવો અને લગ્નને સાદગી, સંસ્કાર અને સમજણ સાથે જોડવા. માત્ર 13 મહિનાના ટૂંકા સમયગાળામાં જ આ યોજના સમાજહિત માટે અત્યંત સફળ સાબિત થઈ છે. સેંકડો પરિવારો આ યોજનાથી જોડાયા છે અને તેના પરિણામે પાટીદાર સમાજમાં લગ્ન પાછળ થતો ખર્ચ નોંધપાત્ર રીતે ઘટ્યો છે.
આ યોજનાની સૌથી મોટી સિદ્ધિ એ છે કે તેણે સમાજની વિચારધારામાં પરિવર્તન લાવ્યું છે. લોકો હવે સમજવા લાગ્યા છે કે લગ્નની સાચી ખુશી ભવ્ય મંડપો કે દેખાવડાં ખર્ચમાં નથી,પરંતુ સંબંધોની મજબૂતી અને પરસ્પર સમજૂતીમાં છે. સાદા, સંયમિત અને અર્થપૂર્ણ લગ્ન સમારંભોને પ્રોત્સાહન મળ્યું છે. જે સમાજને સંસ્કારયુક્ત દિશામાં લઈ જાય છે પરંતુ તાજેતરમાં એક ચિંતાજનક પરિસ્થિતિ પણ સામે આવી છે. કેટલાક લોકો સમાજની ઉમા આદર્શ લગ્ન યોજનામાં લગ્ન કરે છે, પરંતુ તે સાથે ઘરે અથવા ખાનગી પાર્ટી પ્લોટમાં અન્ય પ્રસંગોના નામે લાખો રૂપિયાનું ખર્ચ કરે છે. આ પ્રવૃત્તિ યોજનાના હેતુને અજાણતાં જ નિષ્ફળ બનાવે છે. કારણ કે આ યોજના દાતાઓના દાન પર આધારિત છે. યોજનાનો લાભ લઈ બહાર મોટા ખર્ચ કરવામાં આવે ત્યારે તેની સાર્થકતા પર સવાલ ઊભા થાય છે અને દાતાઓનો વિશ્વાસ પણ ડગમગી શકે છે.
આ સ્થિતિને ધ્યાનમાં રાખીને હવે યોજનાના માળખામાં સમયોચિત અને વ્યવસ્થિત ફેરફાર કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. નવા નિર્ણય મુજબ બંને પક્ષની લગ્ન પૂર્વેની ચાંદલાની વિધિથી લઈને મંડપ રોપણ સહિતની તમામ વિધિઓ સંસ્થાના હોલમાં જ ફરજીયાત કરવાની રહેશે. આ માટે સંસ્થા પોતાને વધારાનો આર્થિક બોજ વધશે, જેથી પરિવારો પર ચુંદડી અને મંડપરોપણનો વધારાનો ભાર ન પડે તે ઉપરાંત, અત્યાર સુધી બંને પક્ષને 111-111 મહેમાનો આમંત્રિત કરવાની છૂટ હતી, જે હવે વધારીને 125-125 એટલે કે બન્ને પક્ષ ની કુલ 250 કરવામાં આવી છે. તો યોજનામાં લગ્ન કરનાર એ પછી અલગથી રિસેમ્પસન કરવા પર પણ પ્રતિબંધ રહેશે. આ ફેરફારથી લોકો બહાર અલગ પ્રસંગો યોજવાની જરૂર નહીં રહે અને અનાવશ્યક ખર્ચ અટકશે. બીજી બાજુ, જે લોકોને સમાજની યોજના સાથે બહાર મોટા પ્રસંગો કરવા જ હોય, તેમને તે માટે સંપૂર્ણ સ્વતંત્રતા રહેશે, પરંતુ યોજનાનો લાભ માત્ર તેમને જ મળશે જે તમામ વિધિઓ સમાજના માળખા મુજબ કરશે.
આ નિર્ણયનો મૂળ આશય એક જ છે-સમાજના હિતનું રક્ષણ, દાતાઓના પૈસાને યોગ્ય ન્યાય અને ઉમા આદર્શ લગ્ન યોજનાની પવિત્રતા જાળવવી. આ ફેરફારોથી સાચા અર્થમાં જરૂરિયાતમંદ પરિવારોને વધુ લાભ મળશે અને સમાજ વધુ જવાબદાર, સંવેદનશીલ અને સંસ્કારયુક્ત બનશે. આ નવા ફેરફારો તા. 16 ફેબ્રુઆરીથી લાગુ કરવામાં આવ્યા છે, પરંતુ જે લોકોએ પોતાના લગ્ન નોંધાવી દીધા છે એમને લાગુ પડતા નથી પરંતુ હવેથી જે લગ્નો નોંધાશે એ નવા નિયમોને આધીન રહેશે એટલે જે લોકોએ પોતાના લગ્ન નોંધાવી દીધા છે એમને હજી દરેક પક્ષના 111-111 મહેમાનોના નિયમનું પાલન કરવાનું રહેશે જેની નોંધ લેવી.

