મોરબી જેતપર રોડ પર આવેલા જ રંગપર ગામ પાસે આવેલા ‘લુકાસો’ નામના બંધ સિરામિક કારખાનામાં ગત તારીખ ૧૧ ના રોજ બનેલી એક દુર્ઘટનામાં શ્રમિકના મોત મામલે પોલીસે કડક વલણ અપનાવ્યું છે. કારખાનામાં પૂરતા સુરક્ષા સાધનો વિના કામ કરાવવા અને ત્યારબાદ પોલીસથી સત્ય છુપાવવાના આરોપ હેઠળ કારખાનેદાર સહિત ૫ વ્યક્તિઓ સામે સાપરાધ મનુષ્યવધ (Culpable Homicide) નો ગુનો નોંધવામાં આવ્યો છે.
મૃતક શ્રમિક વિક્રમ પાટડીયા ગત ૧૧ તારીખના રોજ કારખાનામાં ગેસ વેલ્ડિંગનું કામ કરી રહ્યા હતા. તે સમયે પૂરતો પ્રકાશ ન હોવા છતાં (અંધારામાં) અને સુરક્ષાના સાધનો (સેફ્ટી બેલ્ટ કે હેલ્મેટ) વિના જ ઊંચાઈ પર કામ સોંપવામાં આવ્યું હતું. કામ દરમિયાન અચાનક નીચે પડી જવાથી વિક્રમભાઈનું કરુણ મોત નીપજ્યું હતું.દુર્ઘટના બાદ જવાબદારોએ પોલીસને સાચી હકીકત જણાવવાને બદલે માહિતી છુપાવવાનો પ્રયાસ કર્યો હોવાનું સામે આવ્યું છે. મૃતકના સાળા વિજય ઇનદરીયાની ફરિયાદના આધારે મોરબી પોલીસે જયદીપ પટેલ હિરેન પટેલ ગોપાલભાઈ,જીતેન્દ્ર રંગપરિયા, અંબારામ રંગપરિયા નામના કારખાના માલિક અને જવાબદાર લોકો સામે ૫ સામે ગુનો દાખલ કર્યો છે
ઔદ્યોગિક એકમોમાં શ્રમિકોની સુરક્ષા પ્રત્યે દાખવવામાં આવતી આવી ગંભીર બેદરકારી સામે આ કડક કાર્યવાહી અન્ય કારખાનેદારો માટે લાલબત્તી સમાન છે. હાલ પોલીસ આ મામલે વધુ તપાસ ચલાવી રહી છે.

