મોરબી શહેરમાં ઉમિયા સર્કલથી દલવાડી સર્કલ સુધી કેનાલની બાજુમાં સિમેન્ટ કોંક્રીટ (C.C.) રોડ બનાવવામાં આવે જેથી ટ્રાફિકની સમસ્યાનો કાયમી ઉકેલ આવી શકે, તેવી માંગ સાથે ઇન્ટરનેશનલ હ્યુમન રાઈટ એસોસિએશન, ગુજરાત પ્રદેશના જનરલ સેક્રેટરી કાંતિલાલ બાબર દ્વારા મુખ્યમંત્રી સમક્ષ રજૂઆત કરવામાં આવી છે.
રજૂઆતમાં જણાવ્યા મુજબ, ઉમિયા સર્કલ શનાળા રોડ પર અને દલવાડી સર્કલ બાયપાસ રોડ પર સ્થિત છે. હાલ કલેક્ટર દ્વારા ઉમિયા સર્કલથી દલવાડી સર્કલ સુધીના માર્ગને વન-વે જાહેર કરવામાં આવ્યો છે. આ નિર્ણય બાદ હવે બાયપાસ તરફ જવા માટે વાહનચાલકોને ભક્તિનગર સર્કલ થઈને જવું પડે છે, જ્યારે દલવાડી સર્કલથી માત્ર શનાળા રોડ તરફ જ આવવાની મંજૂરી આપવામાં આવી છે.
મોરબીમાં લીલાપરથી ઉમિયા સર્કલ સુધી કેનાલની બીજી બાજુનો માર્ગ અગાઉથી જ C.C. રોડ તરીકે વિકસાવવામાં આવ્યો છે, પરંતુ ઉમિયા સર્કલથી દલવાડી સર્કલ સુધીનો મહત્વનો માર્ગ હજુ સુધી વિકસાવવામાં આવ્યો નથી, જે અનેક પ્રશ્નો ઊભા કરે છે. થોડાં વર્ષો પહેલાં ગંગા-જમુના એપાર્ટમેન્ટ પાસેથી ઉમિયા સર્કલથી દલવાડી સર્કલ સુધી જતા રોડને ત્યારેના એસ.પી. દ્વારા વન-વે જાહેર કરવામાં આવ્યો હતો, છતાં બાદમાં આ માર્ગને C.C. રોડ તરીકે શા માટે વિકસાવવામાં ન આવ્યો તે બાબત પણ ચર્ચાસ્પદ બની છે.
આ રોડ ન બનવાના કારણે ઉમિયા સર્કલ વિસ્તારમાં વારંવાર ટ્રાફિક જામની સ્થિતિ સર્જાય છે, જેના કારણે નાગરિકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે. તેથી આ માર્ગને તાત્કાલિક C.C. રોડમાં રૂપાંતરિત કરીને લોકોની સુવિધા વધારવાની માંગ કરવામાં આવી છે. રજૂઆતમાં વધુમાં ચેતવણી આપવામાં આવી છે કે જો આ કામને તરત મંજૂરી આપવામાં નહીં આવે, તો મોરબીના નાગરિકોને સાથે રાખીને ગાંધીચિંધ્યા માર્ગે આંદોલન કરવાની કાર્યવાહી કરવામાં આવશે.

