ટંકારાના જબલપુર ગામ પાસે એક યુવાને ગળાફાંસો ખાઈ આપઘાત કરી લીધો છે. પત્નીએ નવું બાઈક લેવાની ના પાડતા યુવાને આ પગલું ભર્યું હોવાનું સામે આવ્યું છે. ટંકારા પોલીસે આ બનાવની નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.
મૂળ મધ્યપ્રદેશના વતની અને હાલ ટંકારા તાલુકાના જબલપુર ગામની સીમમાં આવેલા વિઝન બીલટેક કારખાનાના લેબર ક્વાર્ટરમાં રહેતા બદિયાભાઈ હુજીભાઈ ભુરીયા (ઉંમર 37) મજૂરી કામ કરતા હતા. તેમણે રાત્રિના લગભગ ત્રણ વાગ્યાના અરસામાં પોતાના ઘરેથી બાથરૂમ જવાનું કહીને બહાર નીકળ્યા બાદ આત્મહત્યા કરી હતી.
બદિયાભાઈએ લેબર ક્વાર્ટરની પાછળના ભાગમાં આવેલા નગરપાલિકાના કચરા નાખવાના શેડમાં લોખંડની એંગલ સાથે સાડી બાંધી ગળાફાંસો ખાઈ લીધો હતો. તેમના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ટંકારાની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.
મૃતક યુવાનની પત્ની વેસ્તિબેન ભુરીયાએ ટંકારા પોલીસ સ્ટેશનમાં જાણ કરતા પોલીસે આપઘાતના બનાવની નોંધ લીધી હતી. પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ, બદિયાભાઈને નવું બાઈક લેવું હતું, પરંતુ તેમની પાસે પૈસા ન હોવાથી અને દીકરાના લગ્ન બાકી હોવાથી પત્નીએ તેમને બાઈક લેવાની ના પાડી હતી. આ બાબત તેમને મનોમન લાગી આવતા તેમણે આત્મહત્યા કરી લીધી હતી.

