મોરબી શહેરના નાની બજાર મેઈન રોડ પર આવેલ ઐતિહાસિક શ્રી નીલકંઠ મહાદેવ મંદિરના જીર્ણોધ્ધાર બાદ ભગવાન સિદ્ધિ વિનાયક, માં પાર્વતી, ગંગાજી, કાલ ભૈરવ, બટુક ભૈરવ તેમજ ઓખા દેવીની ભવ્ય પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન તા. 22 અને 23 જાન્યુઆરીના રોજ કરવામાં આવ્યું છે.
બે દિવસીય આ ધાર્મિક મહોત્સવ અંતર્ગત તા. 22 જાન્યુઆરી, ગુરુવારના રોજ સાંજે 4 વાગ્યે દરબારગઢ સ્થિત ખોડીયાર માતાજી મંદિરેથી દેવોની ભવ્ય નગરયાત્રા નીકળશે. ત્યારબાદ સાંજે 7 વાગ્યે દેહ શુદ્ધિ વિધિ સંપન્ન કરવામાં આવશે.
આગામી તા. 23 જાન્યુઆરી, શુક્રવારના રોજ સવારે 7 વાગ્યાથી પ્રાણ પ્રતિષ્ઠા યજ્ઞ યોજાશે. પ્રાણ પ્રતિષ્ઠાની યજ્ઞવિધિ શ્રીમાળી બ્રાહ્મણ જ્ઞાતિ વાડી, સુતાર શેરી, નાની બજાર, મોરબી ખાતે યોજાવાની છે. આ ધાર્મિક કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તો ઉપસ્થિત રહે તેવી અપેક્ષા વ્યક્ત કરવામાં આવી છે.

