મોરબીના રવાપર રોડ પર આવેલા સ્વરાંગન સ્ટુડિયોમાં તા.28/09/2025, રવિવારના રોજ મોરબી જિલ્લા સાહિત્ય સભા આયોજિત ‘સાહિત્યકાર સાથે ગોઠડી’નો કાર્યક્રમ યોજ્યો હતો. જે સભામાં આમંત્રિત મહેમાનોએ હાજરી આપી હતી. તે ખ્યાતનામ ગુજરાતી બાળસાહિત્યકાર યશવંત મહેતા (યશદાદા). આ સાહિત્યિક ગોઠડીમાં બાળરોગ નિષ્ણાત અને પ્રતિષ્ઠિત લેખક ડૉ. સતીશ પટેલ, સ્વરાંગન સ્ટુડિયોના કલાપ્રેમી હંસરાજભાઈ ગામી, કવિ અને લેખક ડૉ. ભાવેશભાઈ જેતપરિયા ઉપસ્થિત રહ્યા હતા.
ગોઠડીનો પ્રારંભ દીપ પ્રાગટ્યથી કરવામાં આવ્યો. યશદાદાનું પુસ્તક દ્વારા સન્માન સ્વરાંગન સ્ટુડિયોના હંસરાજભાઈ ગામી દ્વારા કરવામાં આવ્યું હતું. યશવંત મહેતાનો પરિચય શૈલેષ કાલરિયા દ્વારા આપવામાં આવ્યો હતો. યશવંત મહેતા દ્વારા નવચેતન સામયિક, માતૃભાષા અભિયાન, બાલઆનંદ સામયિક, શારદાસભા, શનિસભા વિષયે વાત કરી સાહિત્યિક માર્ગદર્શન આપવામાં આવ્યું. તેમણે એક નવી સર્જેલી પ્રયોગશીલ રચના કૃષ્ણગીતનું પઠન કર્યું હતું.
ગોઠડીના બીજા ચરણમાં ડૉ. ભાવેશભાઈ જેતપરિયા, જનાર્દન દવે ‘અઘોરી’, વિશાલ પારેખ, નિશિત સોની, આંબાલાલ કુંડારિયા, પ્રકાશ કુબાવત, જીવતીબેન પીપલિયા, સંજય બાપોદરિયા ‘સંગી’, શૈલેષ કાલરિયા ‘દોસ્ત’ વગેરે સર્જકોએ પોતાની સ્વરચિત કૃતિનું પઠન કરી સાહિત્યરસિકજનોને રસ તરબોળ કર્યા હતા.
સ્વરાંગન સ્ટુડિયોના હંસરાજભાઈ ગામીએ સંગીત અને સાહિત્ય પ્રત્યેનો પોતાનો રાજીપો વ્યક્ત કર્યો હતો. ડૉ. સતીશ પટેલે પોતાના વિચારો રજૂ કરતાં કહ્યું હતું કે, ‘મોરબીમાં લક્ષ્મીજીની કૃપા છે, હવે સરસ્વતીજીની કૃપા વરસી રહી છે એ આનંદની વાત છે. વિવિધ સાહિત્ય સર્જન થતું આવે છે. તેમાં શ્રેષ્ઠતા આવે તે માટે પ્રયત્નો જરૂરી છે.’
આજની ગોઠડીમાં ત્રીસેક સર્જક અને ભાવક ઉપસ્થિત રહ્યા હતા. જેમાં રાજેશ પરમાર, રાકેશ રાઠોડ, વૈદ્ય કે.જે. ઝાલા, ભરત રાજકોટિયા, ડેનિશ કાનાબાર, મનિષ યાજ્ઞિક, રમેશ કાલરિયા, વિશાલ ગામી, હિરેન સાણજા, મનિષા પટેલ, અલ્પા કાલરિયાએ નોંધપાત્ર હાજરી આપી હતી. કાર્યક્રમનું સંચાલન શૈલેષ ઝાલરિયા અને વ્યવસ્થા રાજેશ મોકાસણાએ કરી હતી. મોરબી જિલ્લા સાહિત્ય સભા વતી શૈલેષ કાલરિયા અને સંજય બાપોદરિયાએ સૌ પ્રત્યે આભારની લાગણી વ્યક્ત કરી હતી.

