આરોગ્ય અને પરીવાર કલ્યાણ વિભાગ, ગુજરાત રાજ્ય તથા નિયામક, આયુષની કચેરી, ગાંધીનગરની તથા મોરબી જિલ્લા વિકાસ અધિકારીના માર્ગદર્શન અન્વયે જિલ્લા પંચાયત- આયુર્વેદ શાખા, મોરબી દ્વારા મોરબી જિલ્લા પંચાયત 10માં ‘રાષ્ટ્રીય આયુર્વેદ દિવસ’ ની ઉજવણી અન્વયે તા.23 સપ્ટેમ્બર 2025ના રોજ પટેલ સમાજવાડી, બગથળા, તા. મોરબી, ખાતે મેગા આયુર્વેદ-હોમિયોપેથી નિદાન સારવાર કેમ્પનું આયોજન મોરબીના પ્રમુખ હંસાબેન પારેઘીના અધ્યક્ષસ્થાને કરવામાં આવ્યુ હતું.
આ પ્રસંગે હંસાબેન પારેઘી તથા ધારાસભ્ય દુલર્ભજીભાઈ દેથરીયાએ આયુર્વેદ શાખાની કામગીરીને બિરદાવતા હાલના સમયમાં આયુષ પધ્ધતિની મહત્વતા વિશે લોકોને માહીતિ આપી હતી તથા વધુને વધુ લોકોને આયુષ ચિકિત્સાનો લાભ લેવા માટે અનુરોધ કર્યો હતો. આયુર્વેદ અધિકારી ડો. હરેશ જેતપરીયાએ આયુષ ચિકિત્સા પધ્ધતિ તથા મેગા કેમ્પ અંગે પ્રાથમિક જાણકારી આપી હતી.
આ કેમ્પમાં 178 આયુર્વેદ નિદાન-સારવારનો, 96 લાભાર્થીઓએ હોમીયોપેથી નિદાન-સારવારનો, 44 લાભાર્થીઓએ જરા ચિકિત્સાનો, 22 લાભાર્થીઓએ પંચકર્મ ચિકિત્સાનો, 27 લાભાર્થીઓએ અગ્નિકર્મ ચિકિત્સાનો, 422 લાભાર્થીઓ એ અમૃતપેય –ઉકાળા – સંશમની વિતરણનો, 96 લાભાર્થીઓએ આર્સેનિક–આલ્બમ 30 વિતરણનો, 577 લાભાર્થીઓએ પ્રદર્શનનો તથા 112 લાભાર્થીઓએ સુવર્ણપ્રાશનનો લાભ લઈ કુલ 1547 લાભાર્થીઓએ વિવિધ આયુષ સેવાઓનો લાભ લીધો હતો.
આ મેગા કેમ્પ અન્વયે તાલુકા શાળા, બગથળાનાં વિદ્યાર્થી દ્વારા ગામમાં આયુર્વેદના પ્રચાર-પ્રસાર માટે રેલીનું અને હાઈસ્કૂલનાં વિદ્યાર્થી માટે Ayurveda Quizનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ભાગ લીધેલ વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. Quiz માં પ્રથમ એક થી ત્રણ ક્રમાંકે આવેલ વિદ્યાર્થીઓનું મહાનુભાવોના હસ્તે વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું. મહાનુભાવોએ વિવિધ ઓપીડી સ્ટોલ, પ્રકૃતિ પરીક્ષણ, સુવર્ણપ્રાશન, વનસ્પતિ ચાર્ટ પ્રદર્શન, હોમીયોપેથી પ્રદર્શન, ઉકાળા- આર્સએનિક વિતરણ, મુલાકાત કરી હતી.
આ મેગા કેમ્પમાં મોરબી જિલ્લા પંચાયત આરોગ્ય સમિતિના અધ્યક્ષ સરોજબેન ડાંગરોચા, બગથળા ગ્રામ સરપંચ હરેશભાઈ મેરજા તથા નકલંક મંદિરનાં મહંત દામજી ભગત વગેરે ઉપસ્થિત રહ્યા હતા. મેગા કેમ્પમાં મોરબી જિલ્લાના આયુર્વેદ તથા હોમીયોપેથી મેડિકલ ઓફિસરોએ સેવા આપી હતી.

