મોરબીના સામાકાંઠે આવેલા લાલબાગ પાસેના તાલુકા સેવા સદનના આંગણે બુધવારે ગટરની ગંદકીનો પથારો નદીના વહેણની જેમ ફેલાયો હતો.
મોરબીમાં માર્ગ અને મકાન વિભાગ દ્વારા નટરાજ ફાટક પર ઓવર બ્રિજ બનાવવાની કામગીરી ચાલી રહી છે આ દરમિયાન ડ્રેનેજની પાઇપ લાઈન તૂટી જવાથી તાલુકા સેવા સદન પાસે ગટરના ગંદા પાણી સરોવરની જેમ ભરાતા સેવાસદન તેમજ કોર્ટ સંકુલમાં કામ અર્થે આવેલા લોકોને ગટરના ગંદામાં પાણી ચાલવાની ફરજ પડતા ભારે હાલાકી પડી હતી.
સરકારી બાબુઓ પોતાના ઘર આંગણે જ સ્વચ્છતા રાખી શકતા ન હોય ગામ ક્યાંથી સ્વચ્છ રાખી શકે તેવો વેધક સવાલ ઉઠ્યો હતો. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ પણ નમો વનનું લોકાર્પણ કરવા આવ્યા હોય ત્યારે અહીં ગટર ઉભરાતા મનપા તંત્ર દોડતું થઈ ગયું હતું. મનપાની ડ્રેનેજ વિભાગની ટીમ તાત્કાલિક સેવા સદને દોડી જઈને રાતોરાત ગટરની સમસ્યા ઉકેલવાની કવાયત હાથ ધરી હતી. મનપાની આ ટીમે મોડી રાત સુધી ડ્રેનેજની પાઇપ લાઈનની મરામત કરી જેસીબી મશીનનો ઉપયોગ કરીને નવી કનેક્શન લાઇન નાખી પાણીનો પ્રવાહ ડાયવર્ટ કરીને ગટરની સમસ્યા ઉકેલી હતી

