મોરબીની 135 વર્ષ જૂની ઐતિહાસિક શાળા અને મોરબીની ધરોહર એવી ધી વી. સી. ટેકનિકલ હાઈસ્કૂલ -મોરબી ખાતે 19 સપ્ટેમ્બર, 2025ના રોજ શાળા કક્ષાનું ગણિત-વિજ્ઞાન પ્રદર્શન 2025-26, જે હવે બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન તરીકે ઓળખાય છે, તેનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રદર્શનમાં ધોરણ 9 થી 12ના કુલ 188 વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો અને 98 જેટલી અવનવી કૃતિઓ રજૂ કરી હતી, જેણે ઉપસ્થિત સૌ કોઈનું ધ્યાન ખેંચ્યું હતું.
આ પ્રદર્શનનું ઉદ્ઘાટન મોરબી જિલ્લાના જિલ્લા શિક્ષણાધિકારી કે. એમ. મોતાના હસ્તે કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે તેમની સાથે શિક્ષણ નિરીક્ષક પી. વી. અંબારીયા, મોરબી જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવનના પ્રાચાર્ય વી. વી. સુરેલીયા, અને રાજકોટ જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવનના પ્રાચાર્ય પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. કે. એમ. મોતા પ્રસંગને અનુરૂપ પ્રેરક ઉદ્બોધન આપ્યું હતું.
પ્રદર્શનમાં વિદ્યાર્થીઓએ તેમની સર્જનાત્મકતા અને વૈજ્ઞાનિક સૂઝનો પરિચય કરાવતી અનેક કૃતિઓ રજૂ કરી હતી. આકર્ષણનું કેન્દ્ર બનેલી કૃતિઓમાં ઓટોમેટીક સોલાર ટ્રેકર, સ્માર્ટ વોઇસ આસિસ્ટન્ટ, ઝેરોક્ષ મશીન, શોર્ટ સર્કિટ અલાર્મ, ઓટોમેટીક વોટર મશીન, પેન્સિલ વેલ્ડીંગ, મેગ્નેટિક મોટર, એર પોલ્યુશન કંટ્રોલર, સોલાર એનર્જી, વોટર પ્યુરીફાયર, યુપીઆઈ પે સિસ્ટમ, ઓફલાઈન કાર ગેમ, ડ્રેગન રાઇડ, 3d હોલોગ્રામ, અંધશ્રદ્ધા નિવારણ, ગેસ બંદૂક, ટ્રાફિક સિગ્નલ, ડાયનેમાઈટ સીટી, લેસર સિક્યુરિટી, વોટર ડિસ્પેન્સર સિસ્ટમ, માઈક્રોસ્કોપ, ઓટોમેટીક પડદો, જનરેટર, પાણીનું શુદ્ધિકરણ, અને એરોપ્લેન ડિઝાસ્ટર સેફટી સિસ્ટમ જેવી કૃતિઓ મુખ્ય હતી.
આ સમગ્ર કાર્યક્રમનું આયોજન અને વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપવામાં માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક વિભાગના બધા જ શિક્ષકોનો ફાળો નોંધપાત્ર રહ્યો હતો. જેમાં સુધીર વી. ગાંભવા (Physics), મહેશ ગાંભવા (Maths Science), અને પુનિત મેરજા (Maths Science) કાર્યભાર સંભાળેલ હતો. કાર્યભારની સાથે નિર્ણાયકો તરીકેની ભૂમિકા બે ટીમો દ્વારા ભજવવામાં આવી હતી. પ્રથમ ટીમમાં હર્ષદ બોડા સાહેબ (Maths Science) અને પુનિત વાંસદડીયા (Chemistry) હતા, જ્યારે બીજી ટીમમાં ચૈતાલી બેન (Maths Science) અને નિરાલી બેન (Biology) હતા, જેમણે કૃતિઓનું યોગ્ય મૂલ્યાંકન કર્યું હતું.
માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકના સમગ્ર સ્ટાફ મિત્રોએ પણ આ કાર્યક્રમને સફળ બનાવવા સતત સહકાર આપ્યો હતો. આ ઉપરાંત, ધોરણ 12 સાયન્સના વિદ્યાર્થીઓએ સ્વયંસેવક બનીને આજુબાજુની શાળાઓમાંથી આવેલા વિદ્યાર્થીઓ માટે વ્યવસ્થા જાળવી હતી. કાર્યક્રમના અંતમાં શાળાના આચાર્ય બી. એ. વાઘેલાએ ઉપસ્થિત મહેમાનો, શિક્ષકો અને વિદ્યાર્થીઓનો આભાર વ્યક્ત કર્યો હતો. આ બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન મોરબી જિલ્લામાં વિજ્ઞાનના શિક્ષણને પ્રોત્સાહન આપવા માટે એક મહત્વપૂર્ણ પગલું સાબિત થયું છે.

