મોરબીમાં જિલ્લા કલેક્ટર કે.બી. ઝવેરીના અધ્યક્ષસ્થાને જિલ્લા સંકલન સહ ફરીયાદ સમિતિની બેઠક જિલ્લા કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે યોજાઈ હતી. આ બેઠકમાં મુખ્યમંત્રી ઓનલાઈન ફરિયાદ નિવારણ કાર્યક્રમ અને પી.જી. પોર્ટલની પેન્ડિંગ અરજીઓ બાબતે સમીક્ષા કરી આ અરજીઓનો સમય મર્યાદામાં નિકાલ કરવા જણાવવામાં આવ્યું હતું.
કલેક્ટરે હીટ અનુસંધાને શ્રમિકોને બપોરના સમયગાળા દરમિયાન કામ ન કરાવવા તથા કચેરીઓમાં અરજદારો માટે અને શ્રમિકો માટે કામના સ્થળ પર છાયડો પીવાનું પાણી તેમજ ઓઆરએસ સહિતની વ્યવસ્થાઓ કરવા સંબંધિત વિભાગોને સૂચના આપી હતી. સુજલામ્ સુફલામ્ અભિયાન અંતર્ગત જળસંચય અને વરસાદી પાણીના સંગ્રહ માટે યોગ્ય કાર્યવાહી કરવા ઉપરાંત ગામડાઓમાં તળાવની માટી ખેડૂતોને મળી રહે તે પ્રકારની વ્યવસ્થા કરવા તથા શાળાઓમાં પાણીની ટાંકીની સફાઈ કરવા જણાવવામાં આવ્યું હતું.
ગ્રામ સેવક સહિતના અધિકારીઓ/કર્મચારીઓ સમયસર તેમની ફરજ પર હાજર રહે તથા ગામડાઓમાં પીવાનું પાણી યોગ્ય માત્રામાં પહોંચી જાય તે માટે કરકસર કરીને પણ પાણીની યોગ્ય વ્યવસ્થા કરવા સંબંધીત વિભાગોને કલેક્ટરએ સૂચના આપી હતી. ઉપરાંત ઔદ્યોગિક સલામતી બાબતે પણ તેમણે જરૂરી સૂચનો કર્યા હતા.
આ બેઠકમાં ટંકારા-પડધરી ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયા, જિલ્લા વિકાસ અધિકારી જે.એસ.પ્રજાપતિ, પોલીસ અધિક્ષક રાહુલ ત્રિપાઠી, નિવાસી અધિક કલેક્ટર એસ.જે. ખાચર, નાયબ વન સંરક્ષક ચિરાગ અમીન, પ્રાંત અધિકારીઓ, મામલતદારો, તાલુકા વિકાસ અધિકારીઓ, ચીફ ઓફીસરો તથા વહીવટી તંત્રના વિવિધ વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

