HomeGujaratગુજરાતમાં મગફળીની ટેકાના ભાવે અત્યાર સુધીની સૌથી રેકોર્ડબ્રેક ખરીદી

ગુજરાતમાં મગફળીની ટેકાના ભાવે અત્યાર સુધીની સૌથી રેકોર્ડબ્રેક ખરીદી

ગુજરાતભરમાં અત્યારે મગફળી અને સોયાબીન સહિતના ખરીફ પાકોની ટેકાના ભાવે ખરીદી પૂરવેગે ચાલી રહી છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી ભારત સરકાર દ્વારા ખરીફ પાકોનું વાવેતર થાય તે પહેલા જ ટેકાના ભાવ જાહેર કરાયા હતા. ટેકાના ભાવ બજાર ભાવથી વધુ હોવાથી ગુજરાતના ખેડૂતોએ મગફળી સહિતના ખરીફ પાકોનું પુષ્કળ વાવેતર અને ટેકાના ભાવે વેચાણ કર્યું છે. પરિણામે આ ખરીફ સીઝન દરમિયાન ગુજરાતમાં સરકાર દ્વારા મગફળીની અત્યાર સુધીની સૌથી રેકોર્ડબ્રેક ખરીદી કરવામાં આવી છે.

કૃષિ મંત્રી રાઘવજી પટેલે આ સંદર્ભે જણાવ્યું હતું કે, ગુજરાતમાં આ વર્ષે મગફળી પાકનું કુલ 18.80 લાખથી વધુ હેકટરમાં રેકોર્ડબ્રેક વાવેતર થયું હતું, જે ગત વર્ષની સરખામણીએ 2.5 લાખ હેક્ટર વધુ હતું. ગુજરાતના ખેડૂતોને તેમના મબલખ ઉત્પાદિત પાકોના પોષણક્ષમ ભાવ મળી રહે તે માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે બનાસકાંઠા ખાતેથી રાજ્યભરમાં ખરીફ પાકોની ટેકાના ભાવે ખરીદીનો શુભારંભ કરાવ્યો હતો.

ભારત સરકાર દ્વારા મગફળી માટે રૂ. 6,783 પ્રતિ ક્વિન્ટલ (રૂ. 1,356.60 પ્રતિ મણ) ટેકાનો ભાવ જાહેર કરવામાં આવ્યો હતા. જેથી મગફળી પાકના વેચાણ માટે રાજ્યના 3.72 લાખથી વધુ ખેડૂતોએ નોંધણી કરાવી હતી. અત્યાર સુધીમાં રાજ્ય સરકાર દ્વારા 197 ખરીદ કેન્દ્રો ખાતેથી 2.89 લાખથી વધુ ખેડૂતો પાસેથી રૂ. 6,700 કરોડથી વધુના મૂલ્યની કુલ 10 લાખ મેટ્રિક ટન જેટલી મગફળીની ખરીદી કરવામાં આવી છે. જે પૈકી આશરે 2.32 લાખ ખેડૂતોને રૂ. 5,172 કરોડથી વધુનું ચૂકવણું પણ સીધું તેમના બેંક ખાતામાં કરી દેવામાં આવ્યું છે. ગુજરાતમાં પ્રથમવાર ખેડૂતોને ખરીદીના તુરંત બાદ આટલી ઝડપથી ચૂકવણું કરવામાં આવી રહ્યું છે, તેમ મંત્રીએ ઉમેર્યું હતું.

કૃષિ મંત્રીએ જણાવ્યું હતું કે, ભારત સરકારે સોયાબીન માટે રૂ. 4,892 પ્રતિ ક્વિન્ટલ (રૂ. 978.40 પ્રતિ મણ) ટેકાનો ભાવ જાહેર કર્યો છે. જેના પરિણામે ટેકાના ભાવે સોયાબીનના વેચાણ માટે રાજ્યના કુલ 24,800થી વધુ ખેડૂતોએ નોંધણી કરાવી હતી. અત્યાર સુધીમાં કુલ 88 ખરીદ કેન્દ્રો પરથી આશરે 20,500થી વધુ ખેડૂતો પાસેથી રૂ. 252 કરોડથી વધુના મૂલ્યની કુલ 51,400 મેટ્રિક ટનથી વધુ સોયાબીનની ખરીદી કરવામાં આવી છે. જે પૈકી આશરે 17,000 જેટલા ખેડૂતોને રૂ. 210 કરોડથી વધુનું ચૂકવણું પણ કરી દેવામાં આવ્યું છે.

રાજ્યના અનેક તાલુકાઓમાં નોંધાયેલા તમામ ખેડૂતો પાસેથી ખરીફ પાકોની ખરીદી પૂર્ણ થઇ છે. જ્યારે, બાકીના ખરીદ કેન્દ્રો ખાતે નોંધાયેલા ખેડૂતો પાસેથી ખરીફ પાકોની ખરીદી પૂરવેગે ચાલી રહી છે. બાકીના તમામ ખેડૂતો પાસેથી આગામી તા. 8 ફેબ્રુઆરી સુધીમાં ખરીદી પૂર્ણ કરવામાં આવશે, તેવી મંત્રીએ ખાતરી આપી હતી.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,270SubscribersSubscribe

TRENDING NOW