મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સ્પષ્ટપણે જણાવ્યું છે કે, રાજ્યના ઇતિહાસમાં એક સાથે 9 નગરપાલિકાને મહાનગરપાલિકામાં રૂપાંતરિત કરવાનો નિર્ણય આયોજનબદ્ધ શહેરી વિકાસની ગતિ માટેની રાજ્ય સરકારની પ્રતિબદ્ધતા દર્શાવે છે. મુખ્યમંત્રીએ રાજ્યમાં તાજેતરમાં રચાયેલી 9 મહાનગરપાલિકાના કમિશનરઓ, વહીવટદારઓ તેમજ અન્ય અધિકારીઓની ગાંધીનગરમાં યોજાયેલી એક દિવસીય કાર્યશાળામાં અધ્યક્ષીય સંબોધન કર્યું હતું.
તેમણે ઉમેર્યું કે, લોકોમાં હવે વિકાસ માટેની જાગૃતિ આવી છે. એટલું જ નહિં, તેમને આજના બદલાતા યુગમાં પબ્લિક ડિલિવરી અને સર્વિસીસ પણ અસરકારક રીતે જોઈએ છે. આ સંદર્ભમાં રાજ્ય સરકારે આયોજનબદ્ધ શહેરી વિકાસને વેગ આપવા નવી 9 મહાનગર પાલિકાઓની રચના કરી છે. વડા પ્રધાન નરેન્દ્ર ભાઇ મોદીએ વિકસિત ભારત@2047નો જે સંકલ્પ કર્યો છે, તેમાં સુદ્રઢ શહેરી વિકાસ આયોજનથી વિકસિત ગુજરાત બનાવવા રાજ્ય સરકાર આગળ વધી રહી છે. તેમ પણ મુખ્યમંત્રીએ ઉમેર્યું હતું. આ મહાનગર પાલિકાઓનું નગરપાલિકામાંથી મહાનગરપાલિકામાં રૂપાંતરણ થયું છે એટલે આ ટ્રાન્ઝિશનલ સમયગાળા દરમિયાન નાગરિકોને મળતી તમામ સેવા-સુવિધાઓ યથાવત મળતી રહે તે સુનિશ્ચિત કરવાની તેમણે ખાસ હિમાયત કરી હતી.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ હેતુસર નવી રચાયેલી મહાનગરપાલિકાઓની વહીવટી ક્ષમતા વૃદ્ધિ તેમજ રોજબરોજની વહીવટી કામગીરીમાં યોગ્ય માર્ગદર્શન અને મેનપાવર ટ્રેનિંગ માટે હાલની પાંચ મોટી મહાનગરપાલિકાઓને 1 વર્ષ સુધી નવી મહાનગર પાલિકાઓના મેન્ટર તરીકે કાર્યરત કરવાનો નિર્ણય કર્યો છે. મુખ્યમંત્રીના આ નિર્ણય અનુસાર, અમદાવાદ મહાનગરપાલિકા નવરચિત નડિયાદ અને સુરેન્દ્રનગર મહાપાલિકા માટે, વડોદરા મહાનગરપાલિકા આણંદ મહાપાલિકા માટે, સુરત મહાનગરપાલિકા વાપી અને નવસારી માટે તથા રાજકોટ મહાનગરપાલિકા મોરબી અને ગાંધીધામ માટે તેમજ જામનગર મહાનગરપાલિકા પોરબંદર માટે અને ગાંધીનગર મહાનગરપાલિકા મહેસાણા માટે મેન્ટર તરીકે કાર્યરત રહેશે.

મુખ્યમંત્રીએ કહ્યું કે, મહાનગરપાલિકાની રચના થયા બાદ નાગરિકોને સ્પષ્ટ દેખાઈ આવે તેવો બદલાવ રોડ-રસ્તા, પાણી, ડ્રેનેજ, લાઈટ તથા બાગ-બગીચા જેવા સુવિધાકારી કામોથી હાથ ધરવાનું દાયિત્વ નવનિયુક્ત કમિશનરોએ નિભાવવાનું છે. તેમણે ઉમેર્યું કે નવી મહાનગરપાલિકાઓ પોતાના નગરોના વિકાસનો રોડ મેપ તૈયાર કરે. એટલું જ નહિં, વિકાસ કામો માટે નાણાંની જરૂરિયાત અંગે પણ રાજ્ય સરકારમાં રજૂઆત કરે. મુખ્યમંત્રીએ આ સંદર્ભમાં કહ્યું કે, વિકાસ કામો માટે નાણાંની કોઈ કમી ક્યારેય ન રહે તેવું નાણાં વ્યવસ્થાપન વડાપ્રધાનના નેતૃત્વમાં ગુજરાતે કરેલું છે. મુખ્યમંત્રીએ નવી રચાયેલી પ્રત્યેક મહાનગરપાલિકાઓને વહીવટી ક્ષમતા વૃદ્ધિ, ઓફિસ સ્ટ્રેન્થનીંગ તથા અન્ય સુવિધાઓ માટે રૂ.10 કરોડ અને શહેરી સફાઈ સહિતના સિટી બ્યુટીફિકેશન કામો માટે રૂ.10 કરોડ મળીને કુલ 20 કરોડ રૂપિયા ફાળવવાની મંજૂરી પણ આ તકે આપી હતી.
તેમણે કહ્યું કે, આ મહાનગરપાલિકાઓમાં વિકાસ કામોની સ્પર્ધા થાય. એટલું જ નહિં, શહેરી જન સુખાકારી કામો માટે નાગરિકોની અપેક્ષા સંતોષાય તેવું વાણી-વર્તન-વ્યવહાર પણ નવી ટીમ પાસે અપેક્ષિત છે. આ નવ મહાનગરપાલિકાઓ રાજ્યના શહેરી વિકાસને નવી ઊંચાઈ આપીને 2047 સુધીમાં વિકસિત ભારત માટે વિકસિત ગુજરાતના નિર્માણમાં પણ યોગદાન આપશે તેવો વિશ્વાસ સીએમે દર્શાવ્યો હતો. આ એક દિવસીય કાર્યશાળામાં ગુજરાત અર્બન ડેવલોપમેન્ટ ઇન્સ્ટિટ્યૂટના ડિરેક્ટર જનરલ આઈ. પી. ગૌતમે શહેરોના ભવિષ્યલક્ષી આયોજન અને વિકાસ સંભાવનાઓ વિશે માર્ગદર્શક વ્યાખ્યાન આપ્યું હતું. શહેરી વિકાસ અગ્ર સચિવ અશ્વિનીકુમારે આ કાર્યશાળાનો ઉદ્દેશ્ય સ્પષ્ટ કરતાં કહ્યું કે, રાજ્ય સરકારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં શહેરી વિકાસને ગતિ આપતા ત્વરિત નિર્ણયો કર્યા છે.
9 મહાનગરપાલિકાઓની રચનાની જાહેરાત થયાના ગણતરીના સમયમાં જ મ્યુનિસિપલ કમિશનરો સહિત જરૂરી મેનપાવર ઉપલબ્ધ કરાવીને ફૂલ ફ્લેજ્ડ મહાપાલિકા ત્વરાએ કાર્યરત કરી છે. હવે, સ્થાપિત મહાનગરપાલિકાઓ દ્વારા નવી મહાનગરપાલિકાના હેન્ડ હોલ્ડિંગથી કેપેસિટી બિલ્ડીંગ પણ ઝડપથી થાય તેવું આયોજન કર્યું છે. કમિશનર મ્યુનિસિપાલિટીઝ એડ્મિનિસ્ટ્રેશન રાજકુમાર બેનીવાલે સ્વાગત પ્રવચનથી સૌને આવકાર્યા હતા. આ કાર્યશાળામાં નવનિયુક્ત મ્યુનિસિપલ કમિશનર, વહીવટદાર કલેક્ટરઓ તેમજ અધિકારીઓ અને સ્થાપિત મહાનગરપાલિકાઓના મ્યુનિસિપલ કમિશનરઓ સહભાગી થયા હતા.

