મોરબી જિલ્લા કલેકટર કે.બી.ઝવેરીના અધ્યક્ષસ્થાને ડીસ્ટ્રીકટ ટાસ્ક ફોર્સ ફોર ઇમ્યુનાઇઝેશનની સમીક્ષા બેઠક યોજાઈ હતી. ગત તારીખ: 23/12/2024ના રોજ કલેકટર કચેરીના સભાખંડમાં આયોજિત આ બેઠકમાં મોરબી જિલ્લામાં થયેલી રસીકરણની કામગીરી અને અન્ય આરોગ્યલક્ષી કામગીરી વિશે ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી.
SNID એટલે સબ-નેશનલ ઇમ્યુનાઇઝેશન ડે. આ એક એવો કાર્યક્રમ છે. જેમાં પોલિયો માટે જે-તે સંવેદનશીલ વિસ્તારોમાં બાળકોને રસી આપવા માટેની કામગીરીનો સમાવેશ થાય છે. કેન્દ્ર સરકાર અને વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO) દ્વારા SNID અંતર્ગત રસી આપનાર વ્યક્તિને તાલીમ આપવી, એડવોકેટીંગ, માઇક્રોપ્લાનિંગ અને મોનિટરિંગ, રસીકરણ સાઇટ પર મુલાકાત અને ઘરે-ઘરે પોલિયો સર્વે- આમ પાંચ તબક્કામાં સમગ્ર કામગીરી હાથ ધરવામાં આવે છે.
વર્ષ 2024 અંતર્ગત તાજેતરના આંકડા જોઈએ તો મોરબી જિલ્લામાં 13 ગામોમાં કુલ 38,748 જેટલા 5 વર્ષથી નાના બાળકો એટલે કે 103% બાળકોનું રસીકરણ કરવામાં આવ્યું છે. આ ઉપરાંત જિલ્લાના 05 તાલુકામાં પેન્ટા-3, ઓપીવી-3, મિઝુલ્સ વેક્સિનેશનમાં 22,500 જેટલા બાળકોના રસીકરણ પૂર્ણ કરવાનો લક્ષ્યાંક નિર્ધારિત કરવામાં આવ્યો છે. જેની સામે 16,274 બાળકોની રજીસ્ટ્રેશન પ્રક્રિયા પૂર્ણ થઇ છે. ટેકો પ્લસ પોર્ટલ ઉપર 16,854 જેટલા એટલે કે 104% રસીકરણ કરાયેલા બાળકોની નોંધ કરવામાં આવી છે. તેમજ એચએમઆઈએસ પ્લસ પોર્ટલ પર 15,840 એટલે કે 97% બાળકોની ડેટા એન્ટ્રી કરાઈ છે.
બેઠકમાં કલેકટરએ જણાવ્યું હતું કે, અઠવાડિયામાં બે વાર તાલુકા આરોગ્ય અધિકારીઓ દ્વારા પીએચસી અને સીએચસી પર મુલાકાત લે. જિલ્લાના તમામ પીએચસી અને સીએચસી પર તમામ સ્ટાફ સમયસર હાજર રહે તે મુજબ કાર્યવ્યવસ્થા ગોઠવવાની રહેશે. જે કર્મચારી સમયસર હાજર ના હોય તેમના વિરુદ્ધ કડક પગલાં લેવામાં આવશે. મોરબી જિલ્લાના નાગરિકો તેમની નજીકના સરકારી દવાખાનાની વિવિધ સેવાઓ અને નિઃશુલ્ક દવાનો લાભ મેળવે તેમ કલેકટરએ અંતમાં અનુરોધ કર્યો હતો. તેમજ જિલ્લાના 70 વર્ષથી વધુ વયજૂથના નાગરિકો માટે ઘરેબેઠા વિવિધ આરોગ્યલક્ષી ઉપલબ્ધ છે, જેનું આરોગ્ય શાખા રેગ્યુલર ફોલોઅપ લે- તેવી તેઓએ ખાસ સૂચના આપી હતી.
ઉક્ત સમીક્ષા બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી (ઇન્ચાર્જ) અને જિલ્લા આયોજન અધિકારી એન.એસ.ગઢવી, સી.ડી.એચ.ઓ. ડો.પી.કે.શ્રીવાસ્તવ, આર.સી.એચ.ઓ.શ્રી ડો.સંજય શાહ, તાલુકા આરોગ્ય અધિકારીઓ અને સમિતિના અન્ય સભ્યઓ હાજર રહ્યા હતા.

