રાજકોટ સંસદીય મત વિસ્તાર માટેના જનરલ ઓબ્ઝર્વર ભવાનીસિંહ દેથા (IAS) તેમજ ખર્ચ નિરીક્ષક માધવચંદ્ર મિશ્રા (IRS)એ મોરબી જિલ્લા કલેકટર કચેરીના સભાખંડ ખાતે જિલ્લા ચૂંટણી તંત્ર સાથે બેઠકનું આયોજન કરી કામગીરીની સમીક્ષા કરી હતી.
તમામ નોડલ ઓફિસરઓ સાથે યોજાયેલ આ બેઠકમાં જનરલ ઓબ્ઝર્વર ભવાનીસિંહ દેથા તેમજ ખર્ચ નિરીક્ષક માધવચંદ્ર મિશ્રાએ મટીરીયલ મેનેજમેન્ટ, વિવિઘ ટ્રેઈનીંગ સેશન, આદર્શ આચારસંહિતા અને ફરિયાદોના નિકાલ, હિટ વેવને પગલે મતદારો માટેની વ્યવસ્થા, સવિશેષ મતદાન મથકો અને ત્યાં ઊભી કરવામાં આવેલી/આવનાર વ્યવસ્થાઓ, વધુમાં વધુ મતદાન થાય તે માટેના જાગૃતિ કાર્યક્રમ, રેન્ડમાઈઝેશન, સિરામિક સહિત ઉદ્યોગમાં કામ કરતા રાજ્ય અને જિલ્લા બહારના શ્રમયોગી માટે સવેતન રજા, SST, FST, VVT, VST સહિત ટીમને તાલીમ તેમજ કાર્યક્ષમ કામગીરી સહિતનાઓ મુદ્દાઓની સમીક્ષા કરી જરૂરી સૂચનાઓ આપી હતી.
ઉપરાંત તેમણે શાંતિપૂર્ણ વાતાવરણમાં ન્યાયી અને નિષ્પક્ષ ચૂંટણી યોજાય તે દરેકે પોતાની જવાબદારી સમજી કામગીરી કરવા તમામ અધિકારી કર્મચારીઓને જણાવ્યું હતું.
નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી કુલદીપસિંહ વાળા દ્વારા નિરીક્ષકને રાજકોટ સંસદીય મતવિસ્તારમાં મોરબી જિલ્લાનો વિસ્તાર તેમજ ચૂંટણી અંતર્ગત જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા કરવામાં આવેલ વિવિધ કામગીરીથી વાકેફ કરવામાં આવ્યા હતા.

